પાલનપુર સિવીલમાં આવેલી વિવિધ ઓપીડીમા દર્દીઓની તપાસ કરતા તબીબોને મંગળવારે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યુમાં રોકી દેતા સારવાર અર્થે આવેલા મોટાભાગના દર્દીઓ સારવાર વિના રઝળ્યા હતા.સિવિલમા મંગળવારે સોનોગ્રાફીની તપાસ માટે આવેલી 20થી વધુ મહીલાઓને પરત ફરવુ પડ્યુ હતુ.
મંગળવારે સિવીલ હોસ્પીટલમા સારવાર અર્થે આવી પહોચેલા દર્દીઓએ લાંબી કતારોમા ઉભા રહી કેસ તો કઢાવી દીધા પરંતુ ઓપીડી નજીક પહોચતા મોટા ભાગની ઓપીડીમા તબીબો જ હાજર ન મળતા દર્દીઓ હાથમા કેસ લઇ તબીબોને શોધતા રહ્યા હતા.મંગળવારે સિવીલના સોનાગ્રાફી સેન્ટર ખાતે તબીબ જ હાજર ન મળતા 20થી વધુ મહીલાઓને તપાસ કરાવ્યા વિના જ ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઇ પણ જાતની જાહેરાત કર્યા વિના જ તબીબોને બીજી કામગીરીમા રોકી મોટા ભાગની ઓપીડીઓ બંધ રખાતા દર્દીઓમા રોષ ભભુકી ઉઠ્યો હતો.
તબીબો એફીલેશનના ઇન્ટરવ્યુમાં હતા
પાલનપુર સિવીલના મેનેજમેન્ટ અધિકારી જવાહરભાઇ એ જણાવ્યું કે તબીબો આજે એફીલેશનના ઇન્ટરવ્યુમાં રોકાયા હતા.થોડી ઘણી ઓપીડી જોવડાવી હતી.જો કે થોડી ઘણી ઓપીડી ડીસ્ટર્બ થઇ હશે.જો કે સાંજની ઓપીડી ચાલુ જ રહી છે.