વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં : શહેરીજનો અને અરજદારો ત્રાહીમામ : વરસાદી પાણીના નિકાલની આજદિન સુધી વ્યવસ્થા જ કરાઇ નથી
હવામાન વિભાગની આગાહીના પગલે સોમવારે વહેલી સવારથી જ ડીસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકતાં ડીસા સહીત આખા તાલુકાનો વહીવટ કરતી
મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ ફૂટ જેટલાં વરસાદી પાણી ભરાઇ જતાં વિકાસના દાવા પોકળ નિવડયા હતા અને વહીવટ પણ વગોવાયો હતો.
વરસાદી પાણી ભરાવાના કારણે અરજદારો, વાહનચાલકો અને શહેરીજનો અટવાઇ પડયા હતા. તેમ છતાં જાણે સરકારી બાબુઓ પાણીમાં રહેવા ટેવાયેલા હોય તેમ પાણીના નિકાલ માટે સ્થળ ચકાસણીની પણ કોઇએ તસ્દી લીધી ન હતી.
જેથી વિકાસના દાવા કરતું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢતું હોવાના ઉશ્કેરાયેલા અરજદારોએ ગંભીર આક્ષેપો કરી વહીવટ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
જોકે, મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા કાયમી છે. તેમ છતાં દર વર્ષે ભરાઇ જતાં આ વરસાદી પાણીના નિકાલ માટે ફરજ બજાવતા કર્મચારીઓ સહેજ પણ રસ લેતાં નથી. જેથી ન છૂટકે અરજદારો વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બને છે.
એટલું જ નહીં, વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની આજદિન સુધી કોઇ વ્યવસ્થા કરાઇ નથી. જેને લઇને મામલતદાર કચેરીમાં આવતાં અરજદારોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે.
From-Banaskantha update