50 જેટલાં લોકો ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીને મૃત્યુ પામ્યા છે : દેશી-વિદેશી દારૂના બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ઠેર-ઠેર દેશી-વિદેશી દારૂના ખુલ્લેઆમ ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે તાજેતરમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં 50 જેટલાં લોકો ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીને મૃત્યુ પામ્યા છે. જેને લઇને લોકોમાં સરકાર સામે ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે.
ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ દ્વારા પણ સરકારને ઘેરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સરકારની નિષ્ફળતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી સમગ્ર ગુજરાતમાં દેખાવો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ગુરુવારે ડીસામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી અને જીલ્લા પ્રમુખ ડૉ. રમેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સાંઇબાબા સર્કલ નજીક લઠ્ઠાકાંડના મામલે ભાજપ સરકાર સામે દેખાવો કરી ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ સર્જાય છે. ત્યારે તાત્કાલીક અસરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ તેવી માંગ કરાઇ હતી.
ભાજપ સરકારની નિષ્ફળતા કારણે ગુજરાતમાં દારૂના બુટલેગરો બેફામ બની ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા હોવા છતાં પણ સરકાર દ્વારા આજદીન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. જ્યારે લઠ્ઠાકાંડ સર્જાય પછી થોડી કાર્યવાહી કરી સરકાર સંતોષ માની લે છે.
ત્યારે ગુરુવારે ડીસા આમ આદમી પાર્ટીના જીલ્લાના અને શહેરના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સાંઇબાબા સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કરી વિશાળ રેલી યોજી નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
જયારે વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાય છે છતાં સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતાં નથી. ત્યારે આજે પણ ગુજરાતના દરેક ગામડે-ગામડે અને શહેર-શહેરમાં દેશી-વિદેશી દારૂના બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે.
તાત્કાલીક અસરથી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરવા માટે ઉગ્ર રજૂઆત કરાઇ હતી. જયારે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update