કાંકરેજના ચાંગા ગામે યુવકને ડેરી આગળ વાતો કરવાના મુદ્દે ગામના જ શખ્સ સાથે ઝઘડો થયો હતો. આ અંગેની તેના મિત્રને વાત કરતાં મિત્રનું ઉપરાણું લઇ બંને જણાં ઝઘડો કરનારા શખ્સને રૂવેલ ગામની સીમમાં ઠપકો આપવા ગયા હતા. જ્યાં આ શખ્સે બંને મિત્રોને ચપ્પાના ઘા ઝીંકતા એકનું મોત નિપજ્યું હતુ. જ્યારે બીજાને ઇજા થઈ હતી.
ચાંગા ગામના પિયુષભાઇ મનુભાઇ પરમાર ત્રણેક દિવસ અગાઉ ચાંગા મોટી ડેરી આગળ અલ્પેશભાઇ વિરમભાઇ ચૌધરી સાથે ઉભા રહી વાતચીતો કરતા હતા. તે વખતે ગામનો જ કમલેશભાઇ નાગજીભાઇ ચૌધરીએ અલ્પેશભાઇને તુ કેમ પિયુષ સાથે વાતચિત કરે છે. તેમ કહી પિયુષભાઇને જાતિ અપમાનિત શબ્દો ઉચ્ચાર્યા હતા. દરમિયાન આ અંગેની વાત પિયુષભાઇએ તેમના મિત્ર કાંકરેજ તાલુકાના રૂવેલ ગામના અને હાલ ચાંગા ગામે અખાભાઇ કાનજીભાઇ ચૌધરીના બોર ઉપર ભાગેથી જમીન વાવીને રહેતા પ્રકાશભાઇ પ્રતાપભાઇ ઠાકોરને કરી હતી અને બંનેએ કમલેશભાઇ ચૌધરીને ઠપકો આપવાનું નક્કી કર્યુ હતુ.
દરમિયાન શનિવારે સાંજે બંને જણાં બાઇક લઇને ગામમાંથી ઠીકરનાથ સીમમાં જતાં રસ્તા ઉપર નર્મદા કેનાલના બોડઘરા પુલીયા નજીક કમલેશ ચૌધરી સામે મળ્યો હતો. જેને ઠપકો આપતાં ઉશ્કેરાઇ જઈ ચપ્પુ (ખંજર) પ્રકાશભાઇ ઠાકોરના ગળાના ભાગે માર્યુ હતુ. તેમજ પિયુષને પણ ડાબી બાજુ પાંસળી ઉપર ચપ્પાનો ઘા માર્યો હતો. જ્યાં બુમાબુમ થતાં કમલેશ બાઇક લઇને નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગામમાંથી પિયુષભાઇના પરિવારજનો દોડી આવ્યા હતા. અને બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં પ્રકાશભાઇનું મોત નિપજયું હતુ.
પિયુષભાઇ મનુભાઇ પરમારે ફરિયાદ નોંધાવતાં કમલેશ ચૌધરી વિરુધ્ધ ગુનો દાખલ કરી ઇન્ચાર્જ પીએસઆઇ એસ.વી.આહીરે તપાસ હાથ ધરી હતી. તેમજ પીએસઆઇ એમ.બી.દેવડા, એફએસએલસાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અન્ય એક દલિત ઈસમ પણ ઘાયલ કરાતા તેની ફરિયાદના આધારે એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી એસ. સી. એસ. ટી. સેલ થરાદ ના. પો. અધિક્ષક ડી. ટી. ગોહિલે આગળની તપાસ હાથ ધરી હતી.
From – Banaskantha Update