માતાએ ગર્ભપાત કરવા માટે કરેલી રીટ હાઇકોર્ટે નકારી હતી
દુષ્કર્મનો ભોગ બનેલી ડીસાની મૂકબધિર સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. ડીસામાં મંદિરના ઓટલેથી મળેલી મૂક ગર્ભવતી સગીરાને પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા સિવિલ હોસ્પિટલમાં
સારવાર અર્થે દાખલ કરાઇ હતી. માતાએ ગર્ભપાત કરવાની રીટ હાઇકોર્ટે નકાર્યાં બાદ ગુરૂવારે સગીરાએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે.
ડીસાના જલારામ મંદિરના ઓટલા ઉપર રહેતી મૂક સગર્ભા સગીરા અને તેની માતાને બનાસકાંઠા 181 અભયમની ટીમ દ્વારા 2 માસ અગાઉ પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી હતી.
જ્યાંથી સગીરાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. તે દરમિયાન તેણીની માતા દ્વારા સગીરાનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં રીટ કરાઇ હતી.
આ અંગે રીટ કેસના પાલનપુરના વકીલ મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘હાઇકોર્ટે જો ગર્ભપાત કરવામાં આવે તો માતા અને આવનારા બાળક ઉપર જીવનું જોખમ છે.
જેથી બાળકને જન્મ આપવો પડશે. તે દરમિયાન ગુરૂવારે સગીરાએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જ્યાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે.’
ગર્ભવતી સગીરાને સારવાર ઉપરાંત બાળક અવતરે તે પછી માતા અને બાળકને રહેઠાણ, સુરક્ષા અને ખાધા ખોરાકી સહીત જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલને હાઇકોર્ટે હુકમ કર્યો છે.
જે મુજબ હવે સધળી જવાબદારી વહીવટી તંત્ર દ્વારા ઉઠાવવામાં આવશે. તે દરમિયાન આજ સુધી સગીરા પ્રત્યે માનવતાનું ધોરણ રાખનાર જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મીઓને હાઇકોર્ટે બિરદાવ્યા હતા.
હાઇકોર્ટ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને 15 દિવસમાં સહાય નક્કી કરી સગીરાને ચૂકવવા માટેનો પણ હુકમ કર્યો હતો. જેમાં તેણીને રૂ. 5 લાખની સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે.
દીકરી માટે નિ:શુલ્ક કેસ લડનાર હાઇકોર્ટના વકીલ મનોજ ઉપાધ્યાયના માનવતા લક્ષી કાર્યની સરાહના કરવામાં આવી રહી છે. હાઇકોર્ટના આદેશ બદલ દીકરીને ન્યાય મળ્યાની તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
From-Banaskantha update