પિતા, 2 સાક્ષી, તલાટી અને મહારાજ સામે ગુનો નોંધવા પોલીસ મથકના પગથીયા ઘસી નાખ્યા : પરિણીતાને ઉઠાવી જઇ ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંદનામું રજૂ કરી પ્રેમ લગ્ન કરાવી દીધાનો આક્ષેપ
દાંતા તાલુકાના ગામની પરિણીત યુવતીને બાજુના જગતાપુરાનો સગીર અપહરણ કરી ગયો હતો. જે પછી ઓછી ઉંમર હોવા છતાં જન્મનું ખોટું સોગંદનામું રજૂ કરી સગીરના પ્રેમ લગ્ન કરાવી દીધા હતા.
આ અંગે યુવતીના પિતાએ અપહરણકર્તા શખ્સ અને પોતાની પુત્રી સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે, લગ્ન કરાવવામાં મદદગારી કરનાર 2 સાક્ષી, તલાટી અને લગ્ન કરાવનાર મહારાજ
સામે કલમ-468 મુજબ ગુનો નોંધાવવા ગૃહસ્થ દાંતા પોલીસ મથકના પગથીયા ઘસી રહ્યા છે. આ અંગે તેમણે જીલ્લા પોલીસ વડા સહીત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના નાગેલના ગૃહસ્થે તેમની પુત્રીના લગ્ન વશી ગામમાં કર્યાં હતા. જ્યાં તેણી એક માસ અને 10 દિવસ રહ્યા પછી પિયર પરત આવી હતી.
તે દરમિયાન તા. 13 જુલાઇ 2021 ના દિવસે બાજુના જગતાપુરા ગામનો સગીર તેણીનું અપહરણ કરી ગયો હતો. જે બંનેએ તા. 14/07/2021 ના રોજ ખેડા જીલ્લાના થસરા તાલુકાના ચંદાસર ગામમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા.
આ અંગે ગૃહસ્થે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ રીટ દાખલ કરતાં પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યાં હતા. જેમાં તેમની પુત્રીએ જેની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. તેની પાસે જવાનું કહેતાં કોર્ટે તેને સોંપી હતી.
તે દરમિયાન ગૃહસ્થે આ શખ્સનું લીવીંગ સર્ટી મેળવતાં તેની જન્મ તા. 31/08/2002 હતી. જે પુખ્ત વયનો ન હોવા છતાં તેના જન્મના પ્રમાણપત્રનું સ્ટેમ્પ પેપર ઉપર ખોટું સોગંદનામું કરાવી પ્રેમ લગ્ન કર્યાં હતા.
આથી તેમણે પોતાની પુત્રી અને લગ્ન કરનારા શખ્સ સામે દાંતા પોલીસ મથકે તા. 18/11/2021 ના રોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.
જો કે, જન્મનું ખોટું સોગંદનામું કરી આ લગ્નમાં સાક્ષી બનેલા વડગામ તાલુકાના વગદડી ગામના 2 શખ્સો, ચંદાસરા ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી અને પ્રેમ લગ્ન કરાવનાર પાલનપુરના મહારાજ સામે આ
ગુનામાં ભારતીય ફોજદારી ધારાની કલમ-468 મુજબ આરોપીઓના નામ ઉમેરવા માટે પોલીસ વડાને રજૂઆત કરી છે.
આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, ‘દાંતા પોલીસ મથક અને પોલીસ વડા સહીત ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.’
આ અંગે દાંતા પોલીસ મથકના પી.એસ.આઇ. એ. આર. જાદવે જણાવ્યું હતું કે, ‘પ્રેમ લગ્ન કરનારા સગીરે રજૂ કરેલા એલ.સી.ના જન્મના પ્રમાણપત્રમાં ઓછી ઉંમર હોવાનું ફલિત થાય છે.
જે મુજબ તેની સામે પોલીસ મથકે બાળ લગ્ન પ્રતિબંધક કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મદદગારી કરનાર 2 સાક્ષી, તલાટી, નોટરી અને પ્રેમ લગ્ન કરનાર બંનેની અટકાયત કરાઇ છે. જો કે, યુવતીના પિતા જે આક્ષેપ કરી રહ્યા છે.
તે જન્મ તારીખનું પ્રમાણપત્ર માત્ર તેમની પાસે જ હશે. પોલીસ તપાસમાં પણ કોઇપણ જગ્યાએથી સગીર દ્વારા બનાવેલ ખોટા દસ્તાવેજો કે જન્મનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ હોય તેવું ફલિત થયેલ નથી. જેથી તેમની સામે કલમ-468 ઉમેરી શકાય નહી.’
From-Banaskantha update