દંપતી દિયોદર પુત્રને મળવા ગયું ત્યારે તસ્કરો ચોરી કરી ફરાર : દોઢ માસ અગાઉ થયેલી ચોરીની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રૂ. 4,50,000 અને રૂ. 97,500 ના દાગીના મળી કુલ રૂ. 5,52,000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ખોડલા ગામના પરથીભાઇ વાલાભાઇ વાઘેલા (દેવીપૂજક) અને તેમના પત્ની લીલાબેન દોઢ માસ અગાઉ વડોદરા તેમના દીકરાને મળવા ગયા હતા.
તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ખોડલા ગામમાં તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અજાણ્યા શખ્સોએ મકાનની ઓસરીના જાળીવાળા દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
જ્યાંથી અંદરના બંને મકાનના દરવાજાના નકુચા તોડયા હતા. જે પૈકી એક મકાન પડેલા લોખંડના પીપડાનું તાળુ તોડી અંદર સ્ટીલની બરણીમાં મૂકેલા રોકડા રૂ. 4,50,000 અને કપડાંની થેલીમાં મૂકેલા રૂ.
97,500 ના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તા. 1 જુલાઇના રોજ તેમના ભત્રીજા અમરતભાઇ ભગવાનભાઇ વાઘેલાએ આ અંગે જાણ કરતાં પરથીભાઇ પરિવાર સાથે ખોડલા આવ્યા હતા.
જયારે ઘરમાં તપાસ કરતાં તસ્કરોએ રૂ. 4,50,000 રોકડા, રૂ. 30,000 ના એક કિલો ચાંદીના સાંકળા, રૂ. 22,500 ના 750 ગ્રામ હાથમાં પહેરવાના ચાંદીના ચુડા, રૂ. 15,000 ની ચાંદીની હાંસડી, રૂ. 20,000 ની
સોનાની 2 બુટ્ટી અને રૂ. 10,000 ની સોનાની હેરની ચોરી કરી હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update