બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતોએ બુધવારે વીજ પાવર સપ્લાયને લઇ વીજ પાવર સમય બદલવા એકત્ર થઇ નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ખેતરમાં વીજ પાવર દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોએ રજૂઆત કરી હતી.
દિયોદર તાલુકાના ખેડૂતોએ બુધવારે વીજ પાવર સપ્લાયને લઇ વીજ પાવર સમય બદલાવવા નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, દિયોદર તાલુકાના જૂદા-જૂદા ફીડરોમાં અગાઉ તેના સમય પ્રમાણે વીજ પાવર દિવસે સવારે 12:00 થી 8:00 સુધી આપવામાં આવતો હતો.
જેમાં અચાનક ફેરફાર કરીને રાત્રે 11:30 થી 7:30 સુધી આપવામાં આવે છે. જેમાં શિયાળાની કડકડતી ઠંડીમાં આજે પાક મોટા થયા હોવાથી રાત્રે ખેતરમાં આવી ઠંડીમાં ચારા વાળવામાં અને ભૂંડ તેમજ અન્ય પ્રાણીઓના ત્રાસ અને ભયથી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. ઉપરાંત બીમાર થઇ જવાની પણ ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે.
અગાઉના સમય પ્રમાણે વીજ પાવર દિવસે આપવામાં આવે તે માટે દિયોદર તાલુકાના ખેડૂતોએ એકઠા થઇ ફીડર પ્રમાણે 220 કે.વી. વિભાગ કચેરી-વખા દિયોદરમાં આવેદનપત્ર આપેલું છે.
પરંતુ આ બાબતે હજુ સુધી કોઇ કાર્યવાહી થયેલી નથી. તો દિયોદર તાલુકાના ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને લઇ અગાઉ તેના સમય પ્રમાણે વીજ પાવર જે દિવસે સવારે 12:00 થી સાંજના 8:00 વાગ્યા સુધી આપવામાં આવતો હતો તે પ્રમાણે આપવામાં આવે તેવી વિનંતી કરાઇ હતી.
From-Banaskantha update