પાલનપુરના એરોમા સર્કલ પાસે આવેલી સ્વસ્તિક હાઇસ્કૂલ બહાર ગટર લાઇનનું નાળુ ચોકઅપ થઇ જતા ગટરનું પાણી નાળા પરથી ઉભરાઇ રોડ પર આવે છે. જેથી શાળામાં અવર-જવર કરતા વિદ્યાર્થી તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ સ્થાનિકોમા રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પાલનપુર એરોમા સર્કલથી હનુમાન ટેકરી જવાના માર્ગ પર આવેલી સ્વસ્તિક હાઇસ્કૂલના બહારના ભાગેથી ગટર લાઈનનું નાળુ પસાર થાય છે. જે નાળુ છેલ્લા કેટલાક દિવસોથી ચોકઅપ થઇ ગયુ છે. જેથી ગટરનું ગંદુ પાણી નાળા ઉપરથી ઉભરાઇ નેશનલ હાઇવે પર આવે છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને ગંદાપાણીમાંથી પસાર થવુ પડે છે. જેથી ઝડપથી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે શાળાના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી શાળા બહારથી પસાર થતી ગટર લાઇન ચોકઅપ થવાના કારણે ગંદુપાણી રોડ પર આવતુ હોવાથી આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા જણાવાયુ હતુ કે, આ જગ્યા નેશનલ હાઇવેમાં આવતી હોવાથી નેશનલ હાઈવેની કામગીરી કરવાની થાય છે. જેથી નેશનલ હાઇવેના અધિકારીને રજૂઆત કરાઇ છે. તેમના દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યુ છે અને રીપેરિંગ કરવાની ખાત્રી અપાઇ છે.
From – Banaskantha Update