5 વર્ષ અગાઉ અંદાજીત રૂ. 2 કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો : ડીસા નગરપાલિકા પ્રમુખે રીનોવેશન કરી જલ્દી લોકાર્પણ કરવાની ખાત્રી આપી
ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા અને બંધ પડેલા નાનાજી દેશમુખ ગાર્ડનની ધારાસભ્ય સહીત સત્તાધીશોએ મુલાકાત લીધી હતી.
અને જલ્દી રીનોવેશન કરી ડીસાના નગરજનો પરિવાર સાથે સુંદર ગાર્ડનની મજા માણી શકે તે માટે પ્રયાસો હાથ ધરવાની નગરપાલિકા પ્રમુખે ખાત્રી આપી હતી.
ડીસા નગરપાલિકા દ્વારા 5 વર્ષ અગાઉ અંદાજીત રૂ. 2 કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો.
પરંતુ તે સમયે આંતરિક વિખવાદના કારણે જમીનને લઇ વિવાદ ઉભો થતાં કલેક્ટરે સ્ટે આપતાં ગાર્ડનને તાળા લાગી ગયા હતા. બાદમાં સાર સંભાળ વગર આ ગાર્ડનની હાલત બિસ્માર થઇ ગઇ હતી.
તે દરમિયાન અચાનક આગ લાગતાં આ ગાર્ડનની અંદર રહેલા બાળકોને રમવાના સાધનો અને ઝાડ સહીત તમામ સામગ્રીઓ બળીને ખાખ થઇ ગઇ હતી. ત્યારબાદ હવે ફરી એકવાર આ ગાર્ડનને રીનોવેશન કરી લોકાર્પણ કરવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે.
આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ચીફ ઓફીસર પાંચાભાઇ માળી સહીત રાજકીય આગેવાનો અને અધિકારીઓએ ગાર્ડનની રૂબરૂ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.
જયારે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. શહેરીજનો પરિવાર સાથે આવી આનંદની ક્ષણો મળી શકે તે માટે ગાર્ડનને જલ્દી રીનોવેશન કરાવી લોકાર્પણ કરવાની ડીસા નગરપાલિકા પ્રમુખે ખાત્રી આપી હતી.
From-Banaskantha update