અંબાજી તીર્થધામને કાયમી પજવતી ટ્રાફિક સમસ્યાના હલ તેમજ સુરક્ષાને ધ્યાને લઇ રૂ.124.40 કરોડના ખર્ચે 5.150 કિમીનો 7 મીટર પહોળો બાયપાસ તૈયાર થનાર છે. આ રોડ તૈયાર થતાં ગુજરાતથી રાજસ્થાન વાયા અંબાજીના ટ્રાફિકની સમસ્યાનો કાયમી અંત આવશે.
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વસતા માઈભક્તો માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે. અંબાજીમાં ખૂબ જ મહત્વની એવી ઘર કરી ગયેલી ટ્રાફિક સમસ્યા કે જેમાં અંબાજીથી રાજસ્થાન તરફ જતાં સમગ્ર ગુજરાતનાં વાહનો અંબાજી મંદિરના મુખ્ય શક્તિદ્વાર આગળથી પસાર થાય છે. એટલું જ નહીં મેળા દરમિયાન તો ભારે સમસ્યા ઊભી થાય છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રૂ.124.40 કરોડના ખર્ચે બાયપાસ રોડ બનાવવામાં આવી રહ્યો છે. જે અંગે વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, 5.150 કિલોમીટરનો માર્ગ અંબાજી જી.આઈ.ડી.સીથી પ્રવેશ કરી અંબાજી-આબુરોડ માર્ગ પરના મયુરદ્વાર પાસે નીકળશે. 7 મીટર પહોળા માર્ગ પર બે પુલ અને એક ડઝન જેટલાં નાળાં ઊભાં કરવા સાથે સાઈન બોર્ડની વ્યવસ્થા કરાશે. બાયપાસ દરમિયાન 700 જેટલા વૃક્ષો દૂર કરવા પડે તેમ હોઇ વનવિભાગ દ્વારા તેટલા જ વૃક્ષો ઉછેરી માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવશે.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે 1.25 કરોડ યાત્રિકો દર્શનાર્થે આવે છે, જેમાંથી 8 લાખ યાત્રિકો 51 શક્તિપીઠનાં દર્શન કરવા આવે છે. આ બાયપાસ તૈયાર થતાં ટ્રાફિક સમસ્યા હળવી થતાં તેનો લાભ યાત્રિકોને મળશે.
અંબાજી શક્તિદ્વાર પાસેથી જ પસાર થતા મુખ્ય માર્ગ પર દરરોજ હજારો કાર, ભારે માલવાહક વાહનો તેમજ લક્ઝરી બસો પસાર થાય છે. જેના કારણે મંદિરમાં પ્રવેશતાં અનેક લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ બાયપાસ તૈયાર થઇ જતાં મંદિરના શક્તિદ્વાર પાસેથી પસાર થતાં ભારે વાહનો બંધ થશે. હડાદ તરફ આવતાં ખેરોજ ગામ પાસેથી આ બાયપાસ શરૂ થશે. જે અંબાજી મંદિર અને ગામના પાછળના ભાગમાંથી પસાર થશે અને જે સીધો આબુરોડ તરફ જતા માર્ગ પર મળશે.
From – Banaskantha Update