સુભાષ સેવા ટ્રસ્ટના પ્રમુખ જી.કે.પોપટ જણાવે છે કે, ડીસા ખાતે છેલ્લા 23 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી ઉત્સાહ અને ઉમંગ સાથે યોજવામાં આવે છે જેમાં હજારો ભક્તો સામેલ થાય છે અને એ રીતે આ ડીસાનો સૌથી મોટો ઉત્સવ બની રહે છે.
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સુભાષ સેવા ટ્રસ્ટના આયોજનથી રથયાત્રા સમિતિએ રથયાત્રાની જોશ પૂર્વક તૈયારીઓ કરી છે. છેલ્લા પંદર દિવસથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજી સહિત મોસાળમાં પાતાળેશ્વર મહાદેવ, કચ્છી કોલોની ખાતે પધારેલા છે જ્યાં સ્થાનિક વિસ્તારના ભક્તોએ રોજે રોજ ભજન, કીર્તન, અભિષેક, કથા, પ્રવચન, સુંદરકાંડ, છપ્પનભોગ જેવા અવનવા કાર્યક્રમો કરી ભગવાનની સેવા સુશ્રુષા કરી છે.
આજે તા.29/06/22ના રોજ સાંજે 4.00 કલાકે જગન્નાથજીનીનું મામેરું પાતાળેશ્વર મિત્ર મંડળ દ્વારા ભરવામાં આવ્યું ત્યારબાદ ઢોલ નગારા સાથે રંગે ચંગે ભગવાન યાત્રા કરી હઠીલા હનુમાન મંદિર ખાતે પધારયા. હઠીલા હનુમાન મંદિરમાં ભગવાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. રાત્રે 9.00 કલાકે આશુતોષ દવે એન્ડ પાર્ટી સહિત જાણીતા કલાકારો, સાહિત્યકારો ઉપસ્થિતિ રહી ભજન અને સાહિત્ય દ્વારા ભગવાનને રીજવશે.
તેમજ તા.30/06/22ની રાત્રે ગીતાબેન મોદી અને મંડળ દ્વારા આનંદનો ગરબો યોજાશે. તા.01/07/22ની વહેલી સવારે 4.00 કલાકે ભગવાનનો નેત્રોત્સવ થશે તેમજ બપોરે 1.30 કલાકે ધામધૂમથી 3 રથમાં સવાર થઈ ભગવાન નગર યાત્રા કરશે.
હઠીલા હનુમાનથી યાત્રાનો પ્રારંભ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, હઠીલા ટ્રસ્ટના પ્રમુખ સામંતસિંહ સોલંકી, પ્રકાશભાઈ ભરતિયા, નરસિંહભાઇ દેસાઈ વગેરે દ્વારા કરાવામાં આવશે. ત્યાંથી યાત્રા એસ.સી.ડબલ્યુ, અંબિકચોક, પાતાળેશ્વર મહાદેવ, કોલેજ રોડ, ચામુંડા સોસાયટી, ચંદ્રલોક રોડ, અગ્રસેન મૂર્તિ, સરદારબાગ, ફુવારા સર્કલ, મેઈન બજાર, લેખરાજ ચાર રસ્તા, સોની બજાર, ચાવડી વાસ, રામજી મંદિર, રીસાલા ચોક, લાટીબજાર થઈ હઠીલા હનુમાન પહોંચશે.
From – Banaskantha Update