રાજ્યની ગૌશાળાઓમાં આશ્રિત પશુધનને બચાવવા માંગ : સરકારે અગાઉ રૂ. 500 કરોડ જાહેર કર્યા હતા પણ એક પણ રૂપિયો સંચાલકોને ચૂકવ્યો નથી
દેશભરમાં મોંઘવારી અને આર્થિક મંદીની અસર દરેક ક્ષેત્રમાં દેખાઇ રહી છે. ત્યારે દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતા ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રય લઇ રહેલા ગૌવંશ સહીતના પશુધનની હાલત ખૂબ જ કફોડી બની ગઇ છે.
સરકારે અગાઉ પણ રૂ. 500 કરોડની જાહેરાત કર્યાં બાદ એક પણ રૂપિયો ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
આ અંગે સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખી 7 દિવસમાં સહાય ચૂકવવામાં નહીં આવે તો પશુધનને નજીકની સરકારી કચેરીઓમાં છૂટા મૂકી દેવાશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
ગુજરાતભરમાં 1500 થી વધુ ગૌશાળાઓમાં 4.50 લાખથી વધુ ગૌવંશ સહીતના પશુઓ આશ્રય લઇ રહ્યા છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં સૌથી વધુ ગૌશાળાઓ આવેલી છે.
હસમુખભાઇ વેદલીયા
(માનદ મંત્રી : બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશન)
જીલ્લામાં કુલ 170 થી વધુ ગૌશાળાઓમાં 75,000 થી વધુ પશુઓ આશ્રય લઇ રહ્યા છે. આ ગૌશાળાઓ પાંજરાપોળો દાતાઓની દાનની સરવાણીના સહારે ચાલતી હતી.
પરંતુ કોરોના મહામારી બાદ પ્રવર્તી રહેલી આર્થિક મંદીના કારણે દાતાઓના દાનનો પ્રવાહ ખૂબ જ ધીમો પડી ગયો છે.
ગૌશાળા પાંજરાપોળોમાં એક પશુના નિભાવવા માટે દૈનિક રૂ. 60 થી 70 જેટલો ખર્ચ થાય છે તે હીસાબે ગૌશાળા પાંજરાપોળોને લાખો રૂપિયાના દાનની સહાયની જરૂર પડે છે.
ત્યારે અબોલ જીવોના નિભાવ માટે સરકાર તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણા વર્ષોથી ચાલતી હતી.
જેના અનુસંધાને રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વર્ષ-2022-23 ના બજેટમાં રૂ. 500 કરોડની સહાય અંગે જાહેરાત કરાઇ હતી.
આ યોજનાની જાહેરાત થતાં દાતાઓમાં સંદેશ પહોંચતા ગૌશાળામાં દાનનો પ્રવાહ અચાનક સ્થગિત થઇ ગયેલ છે.
જયારે બીજી બાજુ સરકાર તરફથી જાહેરાત બાદ કોઇ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તે બાબતે સંચાલકો દ્વારા રૂબરૂ મળી અને લેખિતમાં વારંવાર રજૂઆત કરી છે.
તેમ છતાં આજદિન સુધી કોઇ પરિણામલક્ષી કાર્યવાહી થયેલ નથી. હાલમાં દરેક સંસ્થાઓ પાસે રોજેરોજ પશુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેનો ખર્ચ પણ વધી રહ્યો છે.
ત્યારે બીજીબાજુ ઉધારમાં મળતું ઘાસ પણ હવે મળતું બંધ થઇ ગયું છે. જેથી ગુજરાતભરના સંચાલકો ભારે મૂંઝવણમાં છે.
આથી સંચાલકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી બજેટમાં કરેલી જાહેરાત મુજબ તાત્કાલીક સંસ્થાઓને સહાયની ચૂકવણી કરવા માંગ કરી છે.
જો સરકાર તરફથી દિન-7 માં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહી પહોંચે તો સંસ્થાઓમાં આશ્રિત પશુઓ માટેનો ઘાસચારો ખૂટી જતાં તબક્કાવાર સંસ્થાઓએ ગૌવંશ સહીતના જીવોનું જીવન બચાવવા માટે
પશુઓને લઇને નજીકની સરકારી કચરીઓએ લાવી લોકો પાસેથી આર્થિક સહાય અને ઘાસચારાની વ્યવસ્થા કરવા મજબૂર બનવું પડશે તેવી ચિમકી પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
આથી સરકાર આવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલાં 3 માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરે તે ઇચ્છનીય છે.
From-Banaskantha update