જ્યાં સુધી શિક્ષકોની ઘટ પુરી કરાય ત્યાં સુધી શાળાનું તાળું ખોલવામાં નહીં આવે : ગ્રામજનો
બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકામાં મોરવાડા પ્રાથમિક શાળામાં 600 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો જ શાળા ચલાવી રહ્યા છે.
જો કે, મોરવાડા પ્રાથમિક શાળામાં કુલ 15 શિક્ષકોની જરૂરીયાત છે. જેમાં માત્ર 2 શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં જોવા મળી રહ્યું છે.
સ્થાનિક લોકો દ્વારા અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
શિક્ષકોની ઘટને લઇ મંગળવારે વિદ્યાર્થીઓના વાલીઓ પ્રાથમિક શાળા એકત્રિત થયા હતા અને શાળાને તાળાબંધી કરીને જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી શિક્ષકોની ઘટ પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાનું તાળું ખોલવામાં નહીં આવે.’
આ અંગે ગામના સ્થાનિક અગ્રણી રણજીતદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ‘કેટલાંય સમયથી શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ હોવાથી સમગ્ર ગામ ભેગું થયું છે.
જ્યાં સુધી શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી ગામના વાલીઓનો રોષ શાંત નહીં થાય. સરકારને વિનંતી છે કે, 15 શિક્ષકોની જે ઘટ છે એ 15 શિક્ષકોની ભરતી કરે.
મંગળવારે શિક્ષકો ન હોવાથી સમગ્ર ગામના લોકો ભેગા થયા છે અને શાળાને તાળા માર્યાં છે. જ્યારે શિક્ષકોની પુરે પુરી ભરતી થઇ જશે વિદ્યાર્થીઓનું ભાવિ ઉજળુ બનશે એટલે અમે તાળા ખોલી દઇશું.’
From-Banaskantha update