ઇકબાલગઢ વિસ્તારના જુની સરોત્રી ગામે બનાસ નદી નજીક આવેલ ખેતરમાં શનિવારે રાત્રે ખેડૂત પુત્ર પિયત કરી રહ્યો હતો. તે સમયે બે રીંછ આવી જતાં ખેડૂત પુત્રએ દોટ મુકી છતાં રીંછએ પીછો કરી ખેડૂત પુત્રને ઘાયલ કર્યો હતો. જોકે, બુમાબુમ થતાં કૂતરાઓ આવી જતાં ખેડૂત પુત્રનો બચાવ થયો હતો.
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિસ્તારના જુની સરોત્રી ગામે વસવાટ કરતા કનાભાઇ મોહનભાઇ માજીરાણા બનાસ નદી નજીક આવેલ ખેતરમાં શનિવારની રાત્રે પિયત કરી રહ્યા હતા. તે સમય દરમિયાન રાત્રી અચાનક ખેતરમાં બે રીંછ દોડી આવ્યા હતા. રીંછને જોઈને કનાભાઇ ગભરાઈ જતા દોટ મુકી હતી પરંતુ રીંછ દ્વારા પીછો કરી ખેડૂત ઉપર હુમલો કર્યો હતો.
કનાભાઇએ બૂમરાડ પાડતા કૂતરાઓ આવી જતાં ખેડૂત પુત્રનો બચાવ થયો હતો અને વધુ ઈજાઓ થતા બચી ગયા હતા. ત્યારબાદ કનાભાઇએ ઈજાગ્રસ્ત હાલતમાં પોતાના ઘરે દોડી ગયા હતા. પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતા પરિવારજનો તાબડતોબ કનાભાઇને ઇકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ હુમલામાં કનાભાઇને હાથ, પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.
ઈકબાલગઢ ગ્રામ પંચાયતના માજી સરપંચ અને જુની સરોત્રીના ૨હેવાસી માજીરાણા કાળુભાઇ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ‘અમારા વિસ્તારમાં અવાર-નવાર રીંછ દ્વારા હુમલા થાય છે. વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેમજ ખેડૂતોને મોતના મુખમાંથી બચાવી લેવામાં આવે તેવી અમારી માંગણી છે.
From – Banaskantha Update