પંકજ મુનીની સવારથી સાંજ સુધી અવિચલ તપશ્ચર્યા : બાબા દિવસ ઉગ્યા પછી સવારે આઠેક વાગ્યે શરૂ અને સૂર્યાસ્ત પહેલાં સાડા છ પછી તપશ્ચર્યા પૂર્ણ કરે છે
થરાદના વાઘાસણમાં આગ દઝાડતી ગરમીમાં પંકજ મુનિની અગ્નિ તપશ્ચર્યા કરી રહ્યા છે. આ અંગે વાઘાસણના કરણભાઇ પ્રજાપતિ અને જવાનભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘બાલ પંકજ મુની તા. 01 મે
થી સળગતાં છાણા વચ્ચે તપશ્ચર્યા પર બેઠા છે. રાજસ્થાનની સરહદે આવેલા ગામોમાં ધાણી ફૂટ કહી શકાતી આકરી લુ અને અંગ દઝાડતી ગરમી વચ્ચે બાબા માટે રોજના 3 ટ્રોલી સળગતાં છાણા જોઇએ છે.
બાબા દિવસ ઉગ્યા પછી સવારે આઠેક વાગ્યે શરૂ અને સૂર્યાસ્ત પહેલાં સાડા છ પછી તપશ્ચર્યા પૂર્ણ કરે છે. નોંધનીય છે કે, તા. 09 નવેમ્બર-2019 થી બાબાએ હોળી સુધી 4 માસ તપશ્ચર્યા કરી હતી.
જેમાં પણ છેલ્લા એક માસથી ખાવા-પીવાનું બંધ (અન્ન-જળનો ત્યાગ) કરીને પોતાની જગ્યાથી લેશ માત્ર ન હલતા (એક સ્થળ પર બેસી રહીને) કાચની પેટીમાં બેસીને મળમૂત્રનો ત્યાગ કરવા પણ ઉભા થયા ન હતા.’
આ પ્રસંગે ગામના વૈકુંઠનાથ ગૌશાળાના લાભાર્થે ભાગવત કથા અને ગૌકથાનું પણ આયોજન કરાતાં ગત તા. 5 મેથી ચાલી રહી છે. રાત્રે ત્રણેક કલાક ભજન સત્સંગ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે.
આ પ્રસંગે દાતા તરફથી રોજ લીલો ઘાસચારો પણ 100 જેટલી ગાયો અને 140 જેટલાં નંદીઓને નીરવામાં આવે છે. આગામી તા. 11 મીએ તપશ્ચર્યા અને કથા પૂર્ણ થયેથી ગ્રામજનો દ્વારા પૂર્ણાહુતિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.
From-Banaskantha update