ડીસા બનાસ નદીના કિનારે આવેલા માલગઢ ગામના માળી પરીવારમાં છેલ્લાં 14 વર્ષથી પરીવારની જેમ જ સભ્ય બનેલી ગાયનું અવસાન થતાં પરીવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને ગાયની આત્માને શાંતિ મળે તે માટે સમાધી આપી વિવિધ ગૌશાળામાં દાન કરવામાં આવ્યું હતું.
ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં રહેતા અશોકભાઈ બાબુજી કપુરજી ગેલોતના ઘરે છેલ્લા 14 વર્ષથી કામધેનુ સમાન ગાય હતી. ચૈત્ર સુદ પૂનમને શનિવારના સપરમા દિવસે કામધેનુ ગાયનું નિધન થયું હતું. જેને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ઘર આંગણે જ સમાધિ અપાઈ હતી.
આ કામધેનુ ગાયની સ્મૃતિમાં અશોકભાઈ માળીએ 2100 રૂપિયા રામાબાપુ ગૌશાળા માલગઢ, 2100 રૂપિયા ગૌ સેવા સમિતિ ડીસા, 2100 રૂપિયા શક્તિધામ ગૌશાળા સીસોદરા, 2100 રૂપિયા રાજારામ ગૌશાળા ટેટોડા, 1100 રૂપિયા જી.જી. વિદ્યાસંકુલ ડીસા અને 1100 રૂપિયા માળી સમાજ છાત્રાલય પાલનપુરને અર્પણ કરી એક અનોખી પહેલ કરી હતી.
આ અંગે અશોકભાઈ ગેહલોતએ જણાવ્યું હતું કે, અમારા પરીવારમાં ગાયનું અનેરૂ મહત્વ હતું તેમજ તેના અવસાનથી પરીવારના સભ્યો પણ દુખની લાગણી અનુભવી રહ્યા છે તેમજ ગાયની આત્માને શાંતિ મળે તે માટે અન્ય ગાયો માટે 10 હજાર ઉપરાંતનું દાન કરવામાં આવ્યું હતું.
From – Banaskantha Update