થરાદના થરા ગામના દંપતી રાજસ્થાનમાં આવેલ મારવાડી ચૌધરી સમાજની ગુરુ ગાદી શિકારપુરા ખાતે ચાલી રહેલા મેળાના દર્શને જતાં ગાડી પલ્ટી મારી જતાં પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
થરાદ તાલુકાના થરા ગામના ઈશ્વરભાઈ ચૌધરી તેમજ તેમના પત્ની ગીતાબેન ચૌધરી બંને રાજસ્થાનના શિકારપુરા ખાતે મારવાડી ચૌધરી સમાજ તીર્થ સ્થળ રાજારામ આશ્રમના દર્શને જઇ રહ્યાં હતાં. ત્યારે લુણી રેલવે સ્ટેશન પરથી ખાનગી પેસેન્જર ગાડીમાં શિકારપુરા જઇ રહ્યાં હતાં.
ત્યારે ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતાં લુણી શિકારપુરા રસ્તા પર આવેલી જૂની પરબ પાસે ગાડી પલ્ટી મારતાં પરિણીતા ગીતાબેન ચૌધરી (ઉં.વ.35) નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પતિ ઈશ્વરભાઈ ચૌધરીને ઇજાઓ થઇ હતી. તેમજ ગાડીમાં સવાર અન્ય લોકોને નાની મોટી ઇજાઓ થતાં રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને લુણી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. રાજસ્થાન પોલીસ સૂત્રોના જણાવ્યું હતું કે, ‘પેસેન્જર ભરીને જતી ખાનગી ગાડીના ચાલકે ગાડી પલ્ટી મારી હતી. જેમાં 18 લોકો ઘાયલ જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું હતું.
From – Banaskantha Update