અંબાજીમાં 3 વર્ષ અગાઉ શાળાએથી પોતાના ઘરે જઇ રહેલી બાળકીને કેરી ખવડાવવાની લાલચ આપી એક નરાધમ આધેડે પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગેનો કેસ પાલનપુરની પોક્સો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, અંબાજીમાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં પરિવારની 11 વર્ષની બાળકી તા. 13 જૂન 2019 ના દિવસે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી.
ત્યારે બ્રહ્મપુરીવાસમાં રહેતો દિલીપભાઇ ચુનીલાલ પઢિયાર (ઉં.વ.આ. 57) એ કેરી ખવડાવવાની લાલચ આપી તેણીને પોતાના ઘરમાં લઇ ગયા હતા અને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે બાળકીની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જે અંગેનો કેસ પાલનપુરની પાંચમી એડીશનલ સેશન્સ જજ અને સ્પે પોસ્કો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જે. એન. ઠક્કરે સરકારી વકીલ નૈલેશ એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી દિલીપ પઢિયારને ક્રિ. પ્રો. કો. ક. 235 (2) હેઠળ ભારતીય દંડ સંહીતાની કલમ-376 (એ) (બી) માં તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતાં
અધિનિયમ-2012 ની કલમ-4,5 (એમ), 6, અને 8 ના ગુનામાં 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 10,000 નો દંડ, જો દંડની રકમ ન ભરે તો વધુ 2 માસની સજાનો પણ હુકમ કર્યો હતો. કોર્ટે સજા સંભળાવતાં આરોપી ભાગી પડયો હતો.
ભોગ બનેલી બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનારા આરોપીની ઉંમરને ધ્યાને લઇ ન્યાયાધીશે 20 વર્ષની સજા કરી હતી. જ્યારે ભોગ બનેલી બાળકીને રૂ. 6,00,000 નું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.
બાળકીની માતા બજારમાં શાકભાજી લેવા ગઇ હતી. પિતા છૂટક મજૂરી કામે ગયેલા હતા. 2 દીકરીઓ શાળાએ જઇ પરત આવતી હતી. ત્યારે નરાધમે બાળકીને કેરી ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઘરે આવ્યા પછી નરાધમ કેરીનો રસ લઇને આવ્યો હતો અને આ બાબતે કોઇને વાત ન કરવાનું કહી ચાલ્યો ગયો હતો. તે દરમિયાન તેણીની માતાએ બાળકીને કપડાં કેમ બદલાવી દીધા તેમ કહી તપાસ કરતાં લોહીવાળા કપડા મળી આવ્યા હતા.
આ અંગે પૃચ્છા કરતાં બાળકીએ પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. ચોંકી ગયેલા પરિવારજનોએ અંબાજી પોલીસ મથકે નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી.
From-Banaskantha update