પાલનપુરમાં ડીપ્રેશનના શિકાર અનેક લોકોએ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો
પાલનપુરની સ્વૈચ્છીક સંસ્થા જન સેવા એજ પ્રભુ સેવા દ્વારા કાર્યરત જીંદગી ના મિલેગી દૂબારા હેલ્પલાઇન દ્વારા પાછલા 2 વર્ષમાં 41 લોકોને આત્મહત્યા કરતાં અટકાવ્યા છે.
સંસ્થાની મળેલી વાર્ષિક બેઠકમાં વિગતો આપતાં સંસ્થાના પ્રમુખ જયેશ સોનીએ જણાવ્યું હતું કે, ‘જીંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇનની વાર્ષિક બેઠક યોજાઇ હતી.
જેમાં હેલ્પલાઇનના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજથી 2 વર્ષ અગાઉ હેલ્પલાઇનની રચના કરાઇ હતી. 2 વર્ષ દરમિયાન હેલ્પલાઇનના આજ સુધીમાં કુલ 41 કેસ સોલ્વ થયા છે.’
41 લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવા ટીમને સફળતા મળી છે. આ સિવાય અમારી ટીમના ડો. ભરતભાઇ વૈધ અને ડો. ગોવિંદભાઇ ગેલોત જેઓ લાંબા સમયથી આ સેવાના ફીલ્ડમાં કામ કરે છે તેમને તેમના જીવનકાળમાં આત્મહત્યા ડીપ્રેશનના અસંખ્ય કેસ સોલ્વ કર્યાં છે.
હેલ્પલાઇનની બેઠકમાં ડો. ગોવિંદભાઇ ગેલોત, ડો. પ્રકાશભાઇ મોદી અને પતંજલિબેન પ્રજાપતિ દ્વારા પોતાના હેલ્પલાઇનના વિવિધ અનુભવો જણાવવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ‘જીવનમાં કોઇપણ પરિસ્થિતિ સમસ્યા ટૂંક સમય માટે હોય છે અને તેનો યોગ્ય ચોક્કસ ઉકેલ મળતો જ હોય છે.
ભગવાને આપણને આ સુંદર મજાનું જીવન આપ્યું છે એ જીવનને માણવાનું છે. આ સુંદર જીવનમાં નાની-મોટી બાબતોમાં કે તકલીફમાં ટેન્શનમાં આવી જઇને આત્મહત્યા જેવી ગંભીર ભૂલ ક્યારે પણ ન કરવી જોઇએ.
બેઠકમાં હેલ્પલાઇન વધુને વધુ સારુ કામ કરે સમાજ ઉપયોગી કાર્ય થાય અને વિવિધ સ્કૂલોમાં તેમજ કોલેજોમાં હેલ્પલાઇનના કાર્યક્રમ થાય તે બાબતે ચર્ચા કરાઇ હતી.
બેઠકમાં ડો. પ્રકાશભાઇ મોદી, જયેશભાઇ સોની, ડો.ભરતભાઇ વૈધ, ડો. મિત્તલબેન જાદવ, રાજુભાઇ સૈની, કમલેશભાઇ સોની, પતંજલિબેન પ્રજાપતિ, રાજેશભાઇ મોદી, ડો. ગોવિંદભાઇ ગેલોત, ભાઇચંદભાઇ પટેલ, તેજસભાઇ ચૌહાણ અને મોહનભાઇ ચાવડા સહીતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.’
From-Banaskantha update