સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો : બી.એસ.એફ. દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું
શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીથી 7 કિલોમીટર દૂર બંને તરફ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી છે.
કોટેશ્વરથી જાંબુડી તરફના માર્ગ પર બાઇક સ્લીપ થતાં ભૂરારામ કેવળા આદિવાસીનું મોત નિપજ્યું હતું. આદિવાસી પરિવારમાં જન્મ થયા બાદ તેમને ભારત દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જવાનું પસંદ કર્યું હતું.
તેઓ બી.એસ.એફ. માં જોડાયા હતા અને તેમના લગ્ન અંબાજી મંદિરમાં ફરજ બજાવતાં જમાદાર લીંબાભાઇની પુત્રી સાથે થયા હતા.
લગ્ન બાદ તે એક પુત્ર અને એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં જાંબુડી નજીક રહેતાં હતા. હાલમાં તેમની નોકરી છત્તીસગઢમાં હતી.
આ અંગેની વિગત એવી છે કે, ભૂરારામ કેવળા આદિવાસી 4 દિવસ અગાઉ પરિવારના કામ અર્થે પોતાના વતન જાંબુડીમાં આવ્યા હતા.
ઘરેથી બાઇક લઇને જતી વખતે બાઇક સ્લીપ થઇ જવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગંભીર અવસ્થામાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરૂવારે મોત નિપજ્યું હતું. જયારે શુક્રવારે તેમને બી.એસ.એફ. દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને અંતિમ સંસ્કાર તેમના માદરે વતનમાં કરવામાં આવ્યા હતા.
162 બી.એસ.એફ. બટાલિયનના પી.એસ.આઇ. રવિન્દ્રગીરી અને તેમની ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. સમગ્ર પંથકમાં ‘ભારત માતાકી જય’ ના નારા સંભળાવ્યા હતા.
આર્મી દ્વારા બંદૂકની સલામી અપાઇ હતી. મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ‘ભૂરારામ તુમ અમર રહો’ ના નારા લગાવ્યા હતા.
From-Banaskantha update