વડગામ તાલુકાના છેવાડે આવેલ કાલેડા ગામના હરસીદપુરામાં છેલ્લા 6 માસથી પાણીનો કકળાટ ઉભો થવા છતાં સ્થાનિક પંચાયત અને તંત્ર પાણીના વિકટ પ્રશ્ને પાણીમાં બેસી જતાં લોકોને ભર ઉનાળે તરસ્યા મરવાનો વારો આવ્યો છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં વડગામ તાલુકાના કાલેડા ગામમાં આવેલ હરસીદપુરામાં છેલ્લા 6 માસથી પાણી માટે લોકો ખેતરે ખેતરે ભટકી રહ્યા છે.
તે દરમિયાન ગામમાં પશુઓ માટે બનાવવામાં આવેલ હવાડાઓ પણ ખાલીખમ રહેતાં મૂંગા પશુઓ પણ પાણી માટે આમતેમ ભટકી રહ્યા છે.
આ અંગે હરસીદપુરાના શંકરજી ગંભીરજી ઠાકરડા દ્વારા વારંવાર સ્થાનિક પંચાયત સહીત પાણી પુરવઠા નિગમ અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં આ વિકટ પ્રશ્ને તંત્રના બાબુઓ એક પણ વાર પાણીની ગંભીર સમસ્યા બાબતે ગામની મુલાકાત લીધી નથી.
જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ સાથે આગામી દિવસોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહી આવે તો જળ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.
ગત માસે વડગામના ધારાસભ્ય દ્વારા મોકેશ્વર ડેમ અને કરમાવદ તળાવમાં પાણી નાખવા માટે પાલનપુરમાં મૌન રેલી યોજી હતી. જેમાં અનેક ખેડૂતો જોડાયા હોવાના દાવા કરાયા હતા.
જો કે, આ રેલી રાજકીય સાબિત પૂરવાર થઇ હોવાના વડગામવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે. વડગામના ધારાસભ્ય સામે પાણીનું રાજકારણ રમતાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
વડગામ તાલુકામાં છેલ્લા 4 વર્ષથી વરસાદ સરેરાશ કરતાં ઓછો પડતાં દિવસેને દિવસે પાણીના તળ 800 થી 1,200 ફૂટે પહોંચતા અનેક ગામોમાં સિંચાઇ સહીત પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. ત્યારે સરકાર યોગ્ય વિકલ્પ કરી પાણી પુરૂ પાડે તેવી માંગ ઉઠવા પામી છે.
પાણી પુરવઠા નિગમ ઘોર નિંદ્રામાં વડગામ તાલુકાના અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. તે દરમિયાન અનેક ગામોમાં પાણીના બોર ફેઇલ થવા પામ્યા છે.
જેને લઇ નવિન બોર બનાવવા કાલેડા સહીતના ગામો દ્વારા અરજીઓ કરવામાં આવી છે. જો કે, નિગમ દ્વારા નવિન બોર બનાવવાની મંજૂરી આપવામાં આવતી ન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
From-Banaskantha update