દાંતીવાડાની જવાહર નવોદય વિદ્યાલયના ધો.12ના 6 છાત્રોએ રેગીંગ કરતા પ્રિન્સિપાલે 6 સામે કાર્યવાહી કરીને ઘરે મોકલી દીધા છે. હોસ્ટેલમાં તેઓ જુનિયર છાત્રોની પજવણી કરતા હતા, આ અંગેની જાણ વાલીઓને થતા ધો. 9-10 વાલીઓએ હોસ્ટેલમાં જઈને હંગામો મચાવતા આચાર્યએ 6 છાત્રો સામે કાર્યવાહી કરી મામલો દબાવી દેવાની કોશિષ કરી હતી.
દાંતીવાડા નવોદય કેન્દ્રીય વિધાલય અનેક વાર વિવાદમાં સપડાઈ છે અગાઉ મેસમાં બાળકોને ભોજનમાં ગેરરીતિ મામલે ત્રણ રસોયાની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી. ત્યારે નવા વિવાદમાં દાંતીવાડા નવોદય સ્કૂલમાં કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ અહીં હોસ્ટેલમાં રહેતાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી તેઓ પાસે બળજબરી પૂર્વક કપડા ધોવા તેમજ સફાઈ કરી રેંગીગ કરતા હોવાનો ચોંકાવનારો ઘટોસ્ફોટ થયો છે.
નવોદય કેમ્પસમાંથી પીડિત બાળકો અને તેમનાં વાલીઓમાંથી મળેલ ઇનપુટ જોતાં આ કેમ્પસમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ધોરણ 9 અને 10ના બાળકોને આજ હોસ્ટેલમાં ભણતાં ધોરણ 11અને 12ના સિનિયર છાત્રો દ્વારા પજવણી કરાતી હતી તેઓ પાસે કપડાં અને સફાઈ કરાવાતી હતી અને તેમનાં ફરમાનના માનનારાઓને માર મરાતો હોવાની ચોકાવનારી વિગતો મળેલ છે. એટલું જ નહીં પીડિત છાત્રોએ પ્રિન્સીપાલને વારંવાર રજૂઆતો કરવાં છતાં પ્રિન્સિપાલે મામલો પોતાના સુધી સીમિત રાખી ઢાંકપિછોડ કરવાનો પ્રયત્ન કર્યાની હકીકત મળતાં, વાલીઓ દાંતીવાડા જવાહર નવોદય વિદ્યાલય પહોંચ્યા હતા અને ભારે વિવાદ બાદ મોડે મોડે છ છાત્રોને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘આ સંગીન અપરાધી મામલો હોઈ જિલ્લા કલેકટર યોગ્ય તપાસ અધિકારી અથવા કમિટી રચી ધોરણ 9 અને 10ના પીડિત બાળકોના નિવેદન લે તો વધુ ચોંકાવનારા ખુલાસા થશે. તો બીજી તરફ આ ઘટના બાબતે દાંતીવાડા નવોદય પ્રિન્સિપાલ જણાવ્યું હતું કે “કોરોના સમય હોઈ લાંબા સમય બાદ અભ્યાસ શરૂ થયો છે. બાળકો વચ્ચે કોઈ મોટો વિવાદ નથી. તેમ જણાવી ગલ્લા તલ્લા કર્યા હતા. જોકે 6 છાત્રો સામે પગલાં અંગે કોઈ વ્યાજબી સ્પષ્ટતા કરી ન હતી. આ બનાવે ચકચાર જગાવી છે.
From – Banaskantha Update