હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કર્યાં બાદ ડીસા પંથકમાં 7 દિવસ બાદ આવતો કુંપટ ગામના શિતળા માતાજીના મેળાની સૌ કોઇ આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે.
ત્યારે આ વર્ષે શિતળા સાતમનો ભાતીગળ લોકમેળો તા. 24/03/2022 ને ગુરૂવારના રોજ યોજાનાર છે. જેને લઇ વહીવટી તંત્ર અને શિતળા માતાજી મંદિર ટ્રસ્ટ અને કુંપટ ગ્રામ પંચાયત દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગત વર્ષે કોરોના વાયરસની મહામારીને લઇ શિતળા સાતમનો ભરાતો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા શિતળા માતાજીનો મેળો ભરાનાર છે.
જેથી માતાજીના ભક્તોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસાથી 8 કિલોમીટરના અંતરે આવેલ કુંપટ ગામમાં બનાસ નદીના કિનારે શિતળા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે.
જે દર વર્ષે ફાગણ વદ-7 ના રોજ શિતળા માતાજીનો ભાતીગળ લોકમેળો ભરાય છે. જેમાં દૂરદૂરથી ભાવિક ભક્તો ઉમટી પડતાં હકડેઠઠ જનમેદનીથી કુંપટ ગામ ઉભરાઇ જાય છે અને મેળામાં ખાણી-પીણીના સ્ટોલો સહીત વિવિધ જાતોના ચકડોળો લાગે છે અને આ પંથકના લોકો મેળાનો આનંદ માણતા હોય છે.
ત્યારે આ વર્ષે ફાગણ વદ-7 તા. 24/03/2022 ને ગુરૂવારના રોજ ભરાનાર મેળાને લઇ પંથકના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હોળી-ધૂળેટીનો તહેવાર પૂર્ણ થતાં જ લોકો શિતળા માતાજીની માનતા અને બાધા પૂર્ણ કરવા આવતાં હોય છે. સમગ્ર પંથકમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સમા કુંપટ ગામમાં આવેલ શિતળા માતાજીની બાધા અને માનતા પૂર્ણ કરવા લોકો હોળી-ધૂળેટી બાદ ઉમટી પડતાં હોય છે અને ફાગણ વદ-7 ના દિવસે મોટો મેળો ભરાય છે.
આ વર્ષે કોરોના ઘટતા અને ખેડૂતોની સિઝન સારી હોવાથી મેળાની રંગત જામશે. ગત વર્ષે કોરોનાના કારણે મેળો મોકૂફ રખાયો હતો.
પરંતુ આ વર્ષે શિતળા માતાજીનો મેળો ભરાનાર હોય લોકો મોટી સંખ્યામાં ઉમટી પડવાની ધારણા રહેલી છે. વળી આ વર્ષે ખેડૂતોની સિઝન પણ સારી છે.
જેથી આ વર્ષે મેળો જામશે અને મેળામાં ખાણી-પીણીના સ્ટોલ, ઠંડા પીણા, સોડા-શરબત, શેરડી, રમકડા અને મનોરંજનના સાધનો મોટી સંખ્યામાં લાગશે.
From-Banaskantha update