બનાસકાંઠા જીલ્લામાં કોરોના બાદ પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં આગ ઝરતી તેજી આવી હતી. જો કે, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ડોલરનો ભાવ ઉંચકાયો છે.
બીજી તરફ વિદેશમાંથી આવતો હીરાનો કાચો માલ પણ ઓછો થતાં બનાસકાંઠા જીલ્લાના હીરાના વેપારી અને રત્ન કલાકારો ફરી પાછી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જીલ્લામાં ઉદ્યોગમાં એકમાત્ર ઉદ્યોગો ધમધમી રહ્યો છે. જો કે, કોરોનાની મહામારીમાં આ ઉદ્યોગ મંદીના વમળમાં સપડાયો હતો. દરમિયાન ત્રીજી લહેર પુરી થતાં પુનઃ ઝગમગાટ વધ્યો હતો.
હીરાના કારખાનેદારોએ હીરા ઘસવાની મજૂરીના ભાવમાં પણ વધારો કરતાં રત્ન કલાકારોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે, હવે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે જીલ્લાના હીરા ઉદ્યોગને પુનઃ મંદીનું ગ્રહણ લાગ્યું છે.
આ અંગે પાલનપુરના પૂર્વ પ્રમુખ ડાયમંડ મર્ચન્ટ એસોસીએશન જયંતિભાઇ પઢિયારે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠાના હીરા ઉદ્યોગમાં એક સમયે એવો હતો કે, હીરાની લે-વેચ માટે 700 થી ઉપર ટ્રેડીંગ વેપારીઓ બજારમાં કાર્યરત હતા. જો કે, તેજી અને મંદીના માહોલ વચ્ચે વર્તમાન સમયે હવે માંડ 400 વેપારીઓ ટ્રેડીંગ સાથે સંકળાયેલા છે.
વર્તમાન સમયે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ડોલરનો ભાવ જે 74 હતો તે અત્યારે 76 થી 77 થઇ ગયો છે. સીધી અસર બનાસકાંઠાના જીલ્લા ઉદ્યોગ ઉપર થવા પામી છે. પોલીસ કરેલા હીરા સ્થિર થઇ ગયા હોય બનાસકાંઠાનું દૈનિક રૂ. 8 થી 10 કરોડનું ટર્ન ઓવર હતું. તે અત્યારે રૂ. 2 કરોડ જ છે. રૂ. 6 કરોડનું ટર્નઓવર ઠપ્પ થયું છે.’
આ અંગે બનાસકાંઠાના પ્રમુખ ડાયમંડ ફેડરેશન ઓનર્સ અમરતભાઇ ફોસીએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠામાં વર્તમાન સમયે 500 થી 700 હીરાના કારખાના ધમધમી રહ્યા છે. પાલનપુરમાં 350 થી વધુ કારખાનામાં પાલનપુર અને આજુબાજુના 150 થી વધુ ગામના રત્ન કલાકારો હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે, યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે કાચો માલ ઓછો આવે છે.’
આ અંગે પાલનપુર ઢુંઢીયાવાડીમાં હીરા ઘસતા વિરમજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ધો. 12 પાસ કર્યાં પછી ઘરની જવાબદારી માથે આવતાં અભ્યાસ છોડી મૂક્યો હતો અને હીરાના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં આજથી 40 વર્ષ પહેલાં એવો સિતારો હતો કે, મારા જેવા યુવકો અભ્યાસ અધવચ્ચે મૂકી અને આ વ્યવસાયમાં જોડાઇ ગયા હતા.
જો કે, સમય અને સંજોગોને કારણે હીરા ઉદ્યોગમાં ચડતી-પડતી આવતાં આ વ્યવસાયમાં ખૂબ જ ઓછા લોકો આવી રહ્યા છે. આ વર્ષે જ મે કારખાનામાંથી રૂ. 1,50,000 ઉપાડ લઇ 3 દીકરીઓના લગ્ન કર્યાં હતા. યુદ્ધ પહેલાં સારી તેજી હતી. હાલ કાચા હીરા મળતાં ન હોવાથી કામ ખૂબ જ ઓછું મળી રહ્યું છે.’
From-Banaskantha update