સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કોરોના સંક્રમણને લઇને તા. 22 જાન્યુઆરીથી તા. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જેમાં અંબાજી મંદિર અને ગબ્બર શક્તિપીઠ સહીત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જીલ્લામાં કોરોના પોઝીટીવના કેસ 1,000 ની નજીક પહોંચ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે સંક્રમણ ન ફેલાય તે હેતુથી વ્યવસ્થાપક સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
જેમાં અંબાજી મંદિર અને ગબ્બર શક્તિપીઠ સહીત 51 શક્તિપીઠ પરીક્રમા માર્ગના મંદિરો તેમજ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પેટા મંદિરો તા. 22 જાન્યુઆરીથી તા. 31 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
તા. 22 જાન્યુઆરીથી સોશિયલ મીડીયાના માધ્યમથી સવાર-સાંજ આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના સર્વે લોકોને ઘરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લેવા અપિલ કરાઇ છે.
From-Banaskantha update