મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ ચાણક્યે સાચું જ કહ્યું છે કે “शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते है।” આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કર્યુ છે, બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળાના શિક્ષિકા – આચાર્ય રમીલાબેન ડી. મકવાણાએ બાળકોના ઘડતરની સાથે કોરોનાની આ વૈશ્વિક મહામારીના કપરા સમયમાં લોકોમાં જાગૃતિ લાવવા ઉનાળાના ધોમધખતા તાપમાં ભાભર તાલુકાના ગામડાઓ ખુંદીને લોકોમાં જાગૃતિ લાવી રહ્યાં છે.
અત્યારે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને લોકો કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે આ વાયરસના સંક્રમણને રોકવા માટે લોકજાગૃતિ અતિ આવશ્ય છે.
આપણી શિક્ષણ જગતની પરંપરા રહી છે કે શિક્ષક હંમેશા ગામ અને સમાજને માર્ગદર્શન આપતા રહ્યાં છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામના વતની અને બનાસકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણની સુવાસ ફેલાવી રહેલા આચાર્ય રમીલાબેન ડી. મકવાણાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અભિયાનને સફળ બનાવવા મારું ગામ કોરોના મુક્ત ગામ બને, મારો તાલુકો કોરોના મુક્ત તાલુકો બને, તેવી જ રીતે જિલ્લો, રાજ્ય અને આ રાષ્ટ્ર્ કોરોના મુક્ત બને તે માટે તેમણે અભિયાન આદર્યું છે.
આમ, તો હાલ પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન છે, પરંતું ગામ અને દેશ માટે કોરોનાના કપરા સમયમાં કંઇક કરી છૂટવાની તમન્ના ધરાવતા રમીલાબેન વેકેશનમાં માદરે વતન જઇ રજાઓ માણવાના જવાના બદલે પોતાની કર્મભૂમિના સ્થળે રહીને એક સમાજસેવી શિક્ષિકા તરીકે સમાજ સેવાની સાધના કરી રહ્યાં છે.
પોતાના સ્વ-ખર્ચમાંથી ઇકો ગાડીમાં મોબાઈલ વાન તૈયાર કરાવ્યું, જેમાં કોરોના પ્રત્યે લોક જાગૃતિ દર્શાવતા સ્લોગન લખેલા બેનરો લગાવી તેમજ માઈક બાંધીને લોકોમાં જાગૃતિ લાવવા ભાભર તાલુકાના 53 જેટલાં ગામોનો પ્રવાસ કરી ગામના સરપંચઓ અને આગેવાનોને મળી કોરોનાની આ મહામારીથી બચવા આયુર્વેદિક ઉકાળો પીવો તેમજ ગામમાં રસીકરણ કરાવો, તમે સલામત તો દેશ સલામત જેવો પ્રચાર – પ્રસાર કરી લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી પંરતું સાવચેતી રાખવી ખુબ જરૂરી છે એ વાત તેમણે સમજાવી છે. અફવાઓ થી દુર રહો અને સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા તેમણે ગ્રામવાસીઓને પોતાના પ્રવાસ દરમ્યાન ભાવભરી અપીલ પણ કરી છે.
From – Banaskantha Update