લાખણી તાલુકાના આગથળાના પૂર્વ સરપંચે એક મહીલાના નામના ખોટા દસ્તાવેજો ઉભા કરી તેણીના ખેતર ઉપર બોજો પડાવી રૂ. 3,00,000 ની લોન લઇ લીધી હતી. આ અંગેની જાણ થતાં મહીલાએ પૂર્વ સરપંચ સહીત 2 શખ્સો સામે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામમાં રહેતાં કાન્તાબેન નાનજીભાઇ દેવીપૂજકના પિતાની માલિકીની જમીન આગથળા ગામે આવેલી છે.
જે કાન્તાબેનના સ્વતંત્ર કબ્જા ભોગવટામાં છે. જે જમીનના ઉતારાની જરૂર પડતાં લાખણી મામલતદાર કચેરીએથી કઢાવ્યા હતા.
જો કે, ઉતારામાં તેમના નામે રૂ. ૩,00,000 નો ધી બી.ડી.સી.સી. બેંક લાખણી શાખા મારફત સરકારી ગોળીયા વિ. કા. સ. લી. માંથી પશુપાલન હેતુ ધીરાણ મેળવેલું હોય તેવી નોંધ પડેલી હતી.
જેની તપાસ કરાવતાં ગામના પૂર્વ સરપંચ ધેંગાભાઇ કરશનભાઇ રબારીએ જ્યારે તેઓ સરપંચ તરીકે હતા. ત્યારે ઓરડો બનાવી આપવાનું કહી લીધેલા આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજો ઉપર ખોટા અગુંઠા કરી ખોટા દસ્તાવેજો બનાવી રૂ. 3,00,000 ની લોન મેળવી હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે કાન્તાબેને આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધેંગાભાઇ કરશનભાઇ રબારી અને પ્રેમાભાઇ લીલાભાઇ રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update