બનાસકાંઠા જીલ્લામાં શિયાળુ ઋતુમાં બટાકાનો પાક લીધા બાદ તરત જ એ જ ઋતુની અંદર અંદાજીત 3500 હેક્ટર જેટલાં વિસ્તારમાં શક્કરટેટી અને તરબૂચની ખેતી થાય છે.
આ પાકો ઓછા સમયમાં વધુ કમાણી કરી આપે છે. આધુનિક સાધનો વડે મલ્ચીંગ કરી ટપક પદ્ધતિ પિયત દ્વારા વાવેતર થાય છે. જેના લીધે પાણીની બચત થાય છે.
પરંતુ આ પાકોનું વાવેતર બિયારણ દ્વારા કરવાથી શરૂઆતની અવસ્થામાં ફૂગ અને ગાળા પડવાનો તેમજ નેમેટોડના પ્રશ્નો ઘણા સમયથી જોવા મળે છે.
તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ડીસા દ્વારા છેલ્લા 2 વર્ષથી શક્કરટેટી અને તરબૂચનું ધરું તૈયાર કરી ખેડૂતોને નિદર્શન આપીને વાવેતર કરાવવાની શરૂઆત કરાઇ છે.
આ બંન્ને વેલ વર્ગીય પાકો હોવાથી ખેડૂતોને રસ ઓછો હતો. પરંતુ કેવિકે ડીસાના વૈજ્ઞાનિક તબીબ યોગેશ પવાર દ્વારા પ્લગ ટ્રેની અંદર શક્કરટેટી અને તરબુચના 20 દિવસના ધરું તૈયાર કરી ખેડૂતોને નિદર્શન અને તાલીમ આપી જાગૃત કરવામાં આવ્યા છે.
જેના પરિણામે શરૂઆતની અવસ્થામાં આવતાં રોગ, જીવાત અને નેમેટોડના પ્રશ્નો ઓછા થતાં ખેડૂતોને ઉંચા બજાર ભાવ મળવાથી આ વર્ષે આ તકનીક મોટા પાયા ઉપર ખેડૂતોએ અપનાવાની શરૂઆત કરી દીધી છે.
આ તકનીકની વાત કરીએ તો શિયાળુ પાક ખેતરમાં ઉભો હોય ત્યારે જ પ્લગ ટ્રે નર્સરીમાં શક્કરટેટી અને તરબૂચનું બિયારણ વાવવામાં આવે છે અને 20 દિવસના ધરુંની ફેર રોપણી કરવામાં આવે છે.
જેમાં ગાળા પાડવાના પ્રશ્નો અને નેમેટોડ જોવા મળતો નથી તેમજ પાક 50-55 દિવસમાં તૈયાર થાય છે. જેના લીધે 20 દિવસ વહેલા પાક બજારમાં આવવાથી રૂ. 15-16 પ્રતિ કિલો વેચાણ થાય છે અને બિયારણથી વાવેલો પાક વેચાણ માટે આવે ત્યારે રૂ. 6-8 પ્રતિ કિલો ભાવ મળતો હોય છે.
જેથી ખેડૂતોને પ્રતિ વીઘા રૂ. 50,000 વધુ આવક મળે છે. ખર્ચમાં ફક્ત 2,000 પ્રતિ વીઘા ફેર પડે છે અને ભવિષ્યમાં ખેડૂતો આવી તકનીક દ્વારા ખેતી કરે તો એક જ ઋતુમાં બમણી આવક મેળવી શકે છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અને નર્સરી ધારકોને ધરું તૈયાર કરવા માટેની તાલીમ અપાઇ હતી. જેના પરિણામે રાણપુર, જૂનાડીસા, વાસણા, ખેડા અને વાસડા જેવા ગામડાઓમાં મળીને અત્યાર સુધી અંદાજીત કુલ 12 થી 15 લાખ જેટલાં રોપાનું વાવેતર થયું છે.
From-Banaskantha update