દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને દારૂ પીને પતિ ઘર નજીક અસભ્ય વર્તન કરતાં શિક્ષિકાએ શનિવારે ગળેફાંસો આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી.
આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે પાંથાવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિવસેને દિવસે આત્મહત્યાની ઘટનાઓમાં ધરખમ વધારો થઇ રહ્યો છે.
ત્યારે શનિવારે વધુ એક ઘટના બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડાથી સામે આવી છે. પાંથાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અમૃતાબેન ડામોરે આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ અકસ્માતમાં અમૃતાબેનને પગમાં ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ અમદાવાદમાં રહેતાં તેમના પતિ મનહરભાઇ ડામોર પાંથાવાડામાં આવ્યા હતા અને પાંથાવાડા આવીને દારૂ પીને ઘર નજીક અસભ્ય વર્તન કરતાં પાંથાવાડા પોલીસે મનહરભાઇની અટકાયત કરી હતી.
બાદમાં અમૃતાબેન તેમના મકાન માલિકના જમાઇ સાથે પાંથાવાડા પોલીસે મથકે પહોંચ્યા હતા. પરંતુ મનહરભાઇ ત્યાં પણ અમૃતાબેન સાથે અશોભનીય વર્તન કરતાં અમૃતાબેન લાચાર થઇ ગયા હતા અને પોલીસ મથકથી ઘરે ગેસ ચાલુ રહી ગયો હોવાનું બહાનું કરીને ઘરે આવી ગયા હતા.
ત્યારબાદ અમૃતાબેને તેમના ઘરમાં પંખા પર લટકી આત્મહત્યા કરી લેતાં આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જ્યારે પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી પાંથાવાડા સી.એચ.સી. સેન્ટરમાં પી.એમ. અર્થે ખસેડાયો છે. આ અંગે પાંથાવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update