એ.સી.બી. દ્વારા આણંદમાં એક સાથે બે અલગ-અલગ કેસો કરવામાં આવ્યા છે. જેમાં એક આરોપી નાયબ ઇજનેર તો બીજો આરોપી નાયબ મામલતદાર છે. ફરિયાદી તારાપુર તાલુકાના વલ્લી ગામમાં જમીન ભાડે રાખી કમળની ખેતી કરતા હતા. જેથી ખેતી માટે વીજ કનેક્શન મેળવવા માટે તારાપુર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જરૂરી પૂરાવા સાથે અરજી કરી હતી.
જે અરજીની સાથે જરૂરી ફી ભરી હતી. જે અનુસંધાને આરોપી દિલીપકુમાર મગનભાઇ વસૈયા નાયબ ઇજનેરે જમીનની સ્થળ મુલાકાત કરી હતી અને જમીનમાં કોઇ પણ પ્રકારનું ખેતી કામ થતું નથી અને આ જમીનમાં કમળના ઉત્પાદન માટે તલાવડી બનાવવામાં આવી છે. જેથી ખેતી માટે વીજ જોડાણ ન મળી શકે તેવી નોટીસ આપી હતી.
જેથી જે નોટીસ સંદર્ભે ફરિયાદીએ આરોપીને રૂબરૂ મળતાં જણાવ્યું હતું કે, ‘તમને વીજ કનેક્શન મળવા પાત્ર નથી પરંતુ વીજ કનેક્શન જોઇતું હોય તો તમારે મારો વ્યવહાર કરવો પડશે. તેમ જણાવી આ કામ પેટે આરોપીએ પ્રથમ રૂ. 2,00,000 ની લાંચની માંગણી કરી હતી.
જેથી ફરિયાદીએ વિનંતી કરી કંઇક ઓછું કરવા જણાવતાં રકઝકના અંતે છેલ્લે રૂ. 60,000 આપવાના નક્કી થયા હતા. જો કે, ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે શનિવારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપી રૂ. 60,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હતો.’
ત્યારે અન્ય એક કેસની વાત કરીએ તો આરોપી નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ બચુભા જાડેજા (મામલતદાર કચેરી, આંકલાવ) રૂ. 1500 ની લાંચ લેતાં ઝડપાયા છે. ઘટનાની વાત કરીએ તો આ કામના ફરિયાદીની વડીલોપાર્જીત જમીનમાં નામો કમી કરવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ. 10,000 ની લાંચની માંગણી કરી હતી.
જે પછી રકઝકના અંતે તેઓએ રૂ. 4000 વ્યવહાર પેટેના નક્કી કર્યાં હતા અને હાલ જેટલાં હોય તેટલા આપી દેવા જણાવ્યું હતું. ફરિયાદીએ તે સમયે રૂ. 2000 આરોપીને આપ્યા હતા અને બાકીના રૂ. 2000 પછી આપી જવા કહ્યું હતું.
ફરિયાદી રૂ. 2000 ની લાંચની રકમ આરોપીને આપવા માંગતા ન હતો. જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ. 2000 ની લાંચ માંગી હતી. તે પૈકી રૂ. 2500 ફરિયાદીને પરત આપી રૂ. 1500 ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપાયો હતો. આ અંગે આણંદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update