બનાસકાંઠામાં સગીરો વચ્ચે વધી રહેલા પ્રેમ સબંધ ચિંતાજનક બની રહ્યા છે. મુગ્ધાવસ્થામાં યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે અને સોશિયલ મિડીયાનો વ્યાપ વધતાં પશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતાં કિશોર-કિશોરીઓ આત્મહત્યાના રસ્તે પણ દોરવાઇ રહ્યા છે.
જે સમાજ માટે લાલબત્તી સમાન છે. બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, ‘પાલનપુર, દાંતા, વડગામ, અમીરગઢ, ડીસા, દિયોદર, ભાભર, કાંકરેજ, લાખણી, થરાદ, વાવ, સૂઇગામ, દાંતીવાડા અને ધાનેરા તાલુકામાંથી 100 કેસ પૈકી 1 ટકા કેસમાં કિશોર-કિશોરીઓ વચ્ચેના પ્રેમ સબંધ હોય છે. જેમાં પરિવારો વચ્ચે સમાધાન કરાવાયું છે.’
પાલનપુર વિધા મંદિરના સાયકોલોજીસ્ટ (કાઉસેન્લર) ગોવિંદભાઇ ગેલોતે જણાવ્યું હતું કે, ‘કિશોર વસ્થામાં સગીરોમાં પ્રેમ સબંધ અને આત્મહત્યાના કેસો સમાજ માટે ચેતવણી રૂપ છે. બાળકોની નાની સમસ્યાને દૂર ન કરાવે તો મોટું સ્વરૂપ ધારણ કરે છે. માટે માતા-પિતાએ બાળકોને સમય આપવો જોઇએ.
બાળકના મિત્ર બની સમજવું જોઇએ. પરિવારમાં હકારાત્મક વાતાવરણ ઉભુ કરવું જોઇએ. બાળકોને પૂછવું જોઇએ કે, કોઇપણ સમસ્યા કે મૂંઝવણ હોય તો મને જણાવો હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. બાળકો ઉપર ટોર્ચર ન કરવું જોઇએ. બાળકોને સપ્તાહમાં એક વખત ફીલ્મ, બગીચો કે મનોરંજન સ્થળ ઉપર લઇ જવા જોઇએ.’
પાલનપુરમાં રહેતી એક યુવતીને પબજી ગેમ રમતી વખતે બિહારના યુવક સાથે પ્રેમ થતાં પાલનપુર બોલાવી પિતરાઇ ભાઇના ઘરમાંથી રૂ. 70,000 ના દાગીના ચોરીને પ્રેમી યુવક સાથે નાસી ગઇ હતી.
બીજા એક કિસ્સામાં વડનગરની યુવતીને પાલનપુરના યુવક સાથે ઇસ્ટાગ્રામ ઉપર પ્રેમ થતાં મુલાકાત તેણી ગર્ભવતી બની હતી. જેમાં યુવક પરિણીત હોવાનું સામે આવતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
બનાસકાંઠાના એક પરિવારની 16 વર્ષિય સગીરાને સગીર સાથે પ્રેમ થઇ ગયો હતો. માતા-પિતાએ 181 ની મદદ લીધી હતી. બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવાયું હતું.
15 દિવસ અગાઉ પાલનપુરમાં નજીક-નજીક મકાન ધરાવતાં પરિવારના સગીર-સગીરાએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તો રાધનપુરના સગીર-સગીરા ઝેરી પ્રવાહી પી લેતાં ડીસાના નવા બસ સ્ટેશનમાં એસ. ટી. બસમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
From-Banaskantha update