થરાદના મોટીપાવડ ગામે તળાવ ઊંડું કરવામાં ચાલી રહેલી કામગીરીમાં ગેરરિતી બાબતે નાયબ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરાઇ હતી. તેમજ ભારતમાલાના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો વિરુધ્ધ માટી વહન કરાતું હોવાના આક્ષેપ કરાયા હતા.
મોટીપાવડ ગામે તળાવ ઊંડું કરવામાં ચાલી રહેલી કામગીરીમાં ગેરરિતી બાબતે ગામના જાગૃત અરજદાર પથુભાઇ નાનજીભાઇ રાઠોડે થરાદના નાયબ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. મોટીપાવડ ગામે જાહેર ગામ તળાવમાંથી માટી નીકાળીને ભારતમાલા પ્રોજેક્ટ સિક્સ લેન રોડમાં લઈ જઈ રહ્યા છે.
પરંતુ રોયલ્ટીની રકમ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કે સરકારને ફાળવાતી નથી. આ જાહેરહિતના તળાવની પાળથી 40થી 45 ફુટ સુધી માટી લેવાની હોતી નથી. તેમજ ઢોરઢાંખર (પશુઓ) માટે પાણી પીવા જવાનો ઢાળ રાખવાનો હોવા છતાં કોન્ટ્રાક્ટરો નિયમ વિરુદ્ધ મનફાવે તેમ ખોદકામ કરીને તળાવના આરોગ્યની દશા બગાડી રહ્યા છે.
વળી ઓવરલોડ ગાડીઓ પર કાપડ પણ બાંધતા નથી. આથી માટી નીચે પડે છે. ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ઉલટાની મારી નાખવાની ધમકીઓ મળતી હોઇ પોતાના જીવનું પણ જોખમ હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ મામલે હાઇકોર્ટમાં જવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કચેરીના સૂત્રો દ્વારા તપાસ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
From – Banaskantha Update