ડીસા શહેરમાં દેવીપૂજક સમાજના સ્મશાનમાં ભૂગર્ભ ગટરના પ્લાન્ટનું પાણી ઉભરાઇ જતાં ગંદુ પાણી ભરાઈ ગયું. આ સ્મશાનમાં લોકોની આસ્થા સમાન મેલડી માતાનું મંદિર પણ આવેલું હોવાથી દેવી પૂજક સમાજની લાગણીઓ દુભાઈ રહી છે.
જીવનનું અંતિમ ધામ એટલે સ્મશાનધામ અને સ્મશાનને સહુથી પવિત્ર સ્થાન માનવમાં આવે છે. પરંતુ ડીસા નગરપાલિકાની અણઆવડતને લીધે ડીસા શહેરના રાજપુર રોડ પર આવેલું દેવી પૂજક સમાજનું સ્મશાન ધામ અપવિત્ર બની રહ્યું છે.
ડીસામાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત ભૂગર્ભ ગટર યોજના તૈયાર કરવામાં આવી છે અને ભૂગર્ભ ગટરનું જે પાણી છે તે પાણીનો નિકાલ માટે આ સ્મશાનની બાજુમાં જ એક પ્લાન્ટ પણ નાંખવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાંથી ફિલ્ટર થયેલું પાણી બનાસ નદીમાં નાંખવામાં આવતું હોય છે. પરંતુ બનાસ નદી તરફ જતાં લગભગ ત્રીસ ફૂટ પહોળા માર્ગ પર દબાણ આચરી દેવામાં આવતા હવે આ પાણી નદીમાં જવાના બદલે સ્મશાનમાં ભરાઈ રહ્યું છે.
દેવી પૂજક સમાજના સ્મશાનમાં જ્યાં મૃતકોને અગ્નિ દાગ આપવામાં આવે છે ત્યાં જ આ ગટરનું પાણી ભરાઈ ગયું છે. આ ઉપરાંત આ સ્મશાનમાં મસાનિયા મેલડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર લોકોમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને અહીં ભરાઈ રહેલા ગંદા પાણીથી લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. જેને પગલે લોકો પણ ડીસા નગરપાલિકા પાસે માંગ કરી રહ્યા છે કે નદીમાં જતાં માર્ગ પર આચરવામાં આવેલા દબાણને તાત્કાલિક અસરથી દૂર કરી સ્મશાન ધામમાં જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે તેનો નિકાલ કરવામાં આવે.
ડીસા નગરપાલિકા શહેરમાં સ્વચ્છતાના દાવા કરી રહી છે ત્યારે સ્મશાનધામ જેવા પવિત્ર ધામમાં જો આટલી બધી ગંદકી થતી હોય ત્યારે પાલિકાના સ્વચ્છતાના દાવામાં કેટલો દમ છે જાણી શકાય છે. ત્યારે નગરપાલિકાએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ સ્મશાનમાં દબાણના લીધે સર્જાઈ રહેલી ગંદકી દૂર કરાવવી જોઈએ જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય તેને અટકાવી શકાય.
From – Banaskantha Update