દિયોદરના લૂદ્રા નજીક આવેલ કેનાલ પાસે ગત મોડી રાત્રે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર સાત લોકો પૈકી બેના મોત થયા હતા અને પાંચ લોકોને ઈજા થતાં સારવાર માટે દિયોદર રેફરલ ખાતે ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત મોડીરાત્રે દિયોદરના લુદ્રા પાસે પસાર થતી કેનાલ નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે ગફલત ભરી ડ્રાઇવિંગ કરી રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષાના કચ્ચરઘાણ નીકળી ગયા હતા.
અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક દિયોદર પોલીસ તેમજ 108ને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. રીક્ષામાં સવાર સાત લોકોમાંથી જેમાં બે મહિલાનું ઘટના સ્થળે મોત નિપજયું હતું તેમજ અન્ય પાંચ લોકોને નાની-મોટી ઇજા થતાં 108 મારફતે સારવાર માટે દિયોદર રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ મૃતકની લાશોને દિયોદર પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી અને પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update