ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. જેમાં 15 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. પાકુડથી દુમકા જતી લીટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા નજીક ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે અથડાઇ છે. બસમાં 40 થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે.
ટક્કર એટલી ધડાકાભેર હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા છે. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઇ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ‘દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.’
આ અંગેની વિગત એવી છે કે, કૃષ્ણા રજત બસ અને એલ.પી.જી. સિલિન્ડર્સ ભરેલી ટ્રક એટલી ધડાકાભેરથી અથડાઇ હતી કે, બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહો પી.એમ. અર્થે મોકલી દીધા છે. હાલ મૃતકોની ઓળખ થઇ શકી નથી. ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ સૌથી પહેલાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રશાસન અને પોલીસના પહોંચ્યા પહેલાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દુર્ઘટના પછી જીલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનના સીનીયર અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
દુર્ઘટનાની તપાસ કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓનું માનવું છે કે, ‘કદાચ આ અકસ્માતના ધૂમ્મસના કારણે થયો હશે. ટ્રક ચાલકને સામેથી આવતી બસ દેખાઇ નહીં હોય. જેથી તેણે સીધી બસને ટક્કર મારી દીધી હશે. તે સમયે બસમાં બેઠેલા ઘણા લોકો ત્યારે ઉંઘમાં હતા. આ જ કારણે કોઇને બચવાનો પ્રયત્ન કરવાનો પણ સમય ન મળ્યો.’
From-Banaskantha update