કોરોનાના કેસો વધતાં રાજ્યના 8 મહાનગરોમાં રાતના 11 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ : ન્યૂયર સેલિબ્રેશન ઘરમાં જ કરવું પડશે

Share

 

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ તા. 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રિના 11 થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે.

 

 

આ નવું જાહેરનામું તા. 31 મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જો કે, તા. 20 મીએ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડયું હતું. તે મુજબ રાત્રિ કર્ફ્યુનો સમય રાતના 1 થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટીફીકેશન જાહેર કરવું પડયું હતું.

 

 

સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરન્ટને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઇડલાઇન તા. 31 મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

 

 

રાત્રિના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ. 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટીફેકશન જાહેર કર્યું.

 

 

રાજ્યમાં ગઇકાલે 180 દિવસ પછી કોરોનાના 100 થી વધુ કેસ નોંધાયા હતા. ગુરૂવારે ૧૧૧ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 2 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 30 થયા હતા. વડોદરામાં એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાયા હતા.

 

 

કેસોમાં વધારો થતાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારે ફરી કડક નિયંત્રણો લાગુ કરવાની તૈયારીઓ આરંભી છે. ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં અપાયેલી છૂટછાટો ઓછી કરીને નિયંત્રણો લાદવાનું નક્કી કરાયું હતું.

 

 

બીજી લહેરના સમયે એટલે કે એપ્રિલમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ હતો. ત્યારબાદ મે માસમાં કર્ફ્યુમાં એક કલાકની રાહત આપીને 9 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કર્ફ્યુ કર્યો હતો. ત્યારબાદ કોરોના હળવો થતાં રાત્રિ કર્ફ્યુ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો.

 

 

ત્યારબાદ જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી. જેમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યુ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યુ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. દિવાળી તહેવારો નજીક આવતાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી કરાયો હતો.

 

 

આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઇપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

COVID-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા અને આવશ્યક/તાત્કાલીક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ અને એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમ ડીલીવરી સેવા.
શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્‌સ માર્કેટ ચાલુ રહેશે.

 

કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
અનાજ તથા મસાલા દળવાની ઘંટી. ઘરગથ્થુ ટીફીન સર્વિસિસ અને હોટલ/રેસ્ટોરન્ટમાંથી Take away facilit આપતી સેવાઓ.

 

ઇન્ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/ આઇ.ટી. અને આઇ.ટી. સબંધિત સેવાઓ. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયા, ન્યૂઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.

 

પોસ્ટ અને કુરિયર સર્વિસ.ખાનગી સિક્યોરીટી સેવા પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સબંધિત સેવાઓ.કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.આંતરરાજ્ય, આંતર જીલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ.

 

તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતાં એકમો ચાલુ રહેશે.અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. સબંધિત પોલીસ કમિશનરો/જીલ્લા મેજીસ્ટ્રેટોએ તેમના અધિકાર ક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C. તથા ગુજરાત પોલીસ એક્ટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share