અમુક દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં અંબાજી ચાચર ચોકમાં યજ્ઞ શાળામાં લાઉડ સ્પીકર ન વગાડવાની સૂચનાવાળી પત્રિકા વાયરલ થતા બ્રહ્મ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. આમ વધતા રોષને જોઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટએ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધનો હુકમ પાછો લીધો હતો.
અંબાજી મંદિર ચાચર ચોક ખાતે યજ્ઞશાળા આવેલી છે. જેમાં કુલ 14 યજ્ઞકુંડ આવેલા છે. ધાર્મિક વિધિવિધાન મુજબ યજ્ઞશાળાના ભૂદેવો દ્વારા યજ્ઞ કાર્ય કરવામાં આવે છે. યજ્ઞ શાળામાં એક જ સાથે અલગ અલગ યજ્ઞ થતા હોય છે તથા યજ્ઞ શરૂ થવાનો સમય પણ અલગ-અલગ હોય છે.
અહીં મોટા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો હોય છે. જેમાં એક યજ્ઞ ચાલુ હોય ત્યારે અન્ય યજ્ઞમાં મંત્રોચ્ચાર અને વિધિમાં વધુ પડતા અવાજને કારણે ખલેલ પહોંચવાની રજૂઆત શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ, અંબાજી દ્વારા તા.22 નવેમ્બર-2021 ના પત્રથી મળી હતી. જેના અનુસંધાને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી હસ્તકની યજ્ઞશાળામાં લાઉડ સ્પીકર બંધ કરવા સુચના આપવામાં આવી હતી.
ત્યારબાદ પ્રમુખ શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ અંબાજીના તા.18 ડિસેમ્બર-2021 ના પત્રથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત યજ્ઞ શાળામાં ચાલતા યજ્ઞ દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગના પ્રતિબંધની સૂચનાથી તેઓની ધાર્મિક લાગણી દુભાતી હોવાની રજૂઆત કરેલ છે તથા એકબીજાના યજ્ઞમાં અડચણ ન થાય અને અન્ય યજમાનોને મંત્રો સાંભળવામાં ખલેલ ન પડે તે રીતે ઓછા અવાજે લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે.
From – Banaskantha Update