તામિલનાડુના કુન્નુરના જંગલમાં તા. 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું એમ.આઇ.-17વી5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવિત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બુધવારે નિધન થયું છે. ઈન્ડિયન એરફોર્સે આ માહિતી આપી છે.
આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ.) બિપિન રાવત, તેમનાં પત્ની સહીત 13 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પહેલા આર્મીની હોસ્પિટલ અને બાદમાં બેંગ્લોર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 7 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. બુધવારે સારવાર દરમિયાન તેમણે પણ અંતિમશ્વાસ લીધા હતા. આમ આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોના મોત થયા છે.
આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. તા. 8 ડિસેમ્બરના રોજ સવારે 11.48 વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે 12.08 વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરિના પહાડો પર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ એ કુન્નુરના જંગલમાં ક્રેશ થઈ ગયું હતું.
IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family.
— Indian Air Force (@IAF_MCC) December 15, 2021
ઉત્તરપ્રદેશના દેવરિયાના રહેવાસી હતા. તેમનો પરિવાર ત્રણેય સેના સાથે જોડાયેલો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઈન્ડિયન એરફોર્સમાં હતા. તેમના પિતા રિટાયર્ડ કર્નલ કેપી સિંહ આર્મી એર ડિફેન્સ (એ.એ.ડી.) રેજિમેન્ટમાં હતા. કર્નલ કેપી સિંહના બીજા પુત્ર અને વરુણ સિંહના નાના ભાઈ લેફ્ટનેન્ટ કમાન્ડર તનુજ સિંહ ઈન્ડિયન નેવીમાં છે.
વરુણ સિંહનો પરિવાર હાલ ભોપાલમાં રહે છે. વરુણ સિંહને આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા. તેમને આ અવોર્ડ ફ્લાઈંગ કંટ્રોલ સિસ્ટમ ખરાબ થવા છતાં 10 હજારની ઊંચાઈએથી તેજસ વિમાનનું સફળ લેન્ડિંગ કરાવવા બદલ અપાયો હતો.
From – Banaskantha Update