સુરત નજીક આવેલા ચલથાણમાં એક કાર નહેરમાં ખાબકી હતી. અંક્લેશ્વરથી દમણ જઇ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી હતી. સોમવારની મધરાતે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડ સહીત સ્થાનિક લોકોએ પોણા બે કલાક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા પાંચ લોકોને સલામત રીતે રેસ્કયુ કર્યાં હતા.
આ અંગેની વિગત એવી છે કે, ચલથાણ મહાદેવ હોટલ નજીક નહેરમાં એક સ્વીફ્ટ કાર ખાબકી જતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ડિંડોલી ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમણે પાણીમાં પડેલી કાર નં. DN-09-H-1599 માં ફસાયેલી એક જ પરિવારની ત્રણ મહીલા સહીત પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. તપાસમાં ખાન પરિવાર અંકલેશ્વરથી દમણ જઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા પોલીસે કારને જપ્ત લઇ વધુ તપાસ હાથ ધરી છે.
હીમાંશુ વિષ્ણુભાઇ વર્મા (જી.આર.ડી. જવાન)એ જણાવ્યું હતું કે, ‘લગભગ 1:45 કલાક સુધી આખો પરિવાર મોઢું પાણી ઉપર કરીને રહ્યો તો બચી ગયો, નહીતર અનહોની પાક્કી હતી. ફાયરની કામગીરીને સલામ, એક-એક કરીને જે રીતે નહેરના પાણીના વહેણમાંથી આખા પરિવારને બહાર કાઢ્યો એ તો જાણે કોઇ ફીલ્મનો હીરો શોર્ટ આપતો હોય એવા દૃશ્યો હતા. બે દીકરી, એક દીકરી, એક મહીલા અને પુરૂષ સહીતને બચાવવામાં ડિંડોલી ફાયરની ખૂબ જ સારી કામગીરી રહી હતી.’
ઘટના લગભગ 12:30 વાગ્યાની હતી. એમ કહેતાં હીમાંશુ વિષ્ણુભાઇ વર્માએ જણાવ્યું હતું કે, ‘એક રાહદારી દોડીને બોલાવવા આવ્યો હતો. અમે પેટ્રોલિંગ પર હતા. એક કાર ધડાકા સાથે નહેરમાં ખાબકી છે. મુસાફરોમાં બાળકો અને મહીલાઓ ચીચીયારી પાડી રહ્યા છે. અમે દોડીને ગયા તો અંધારામાં બચાવો બચાવોની બૂમો સંભળાઇ રહી હતી.
તમામ નહેરના પાણીના વહેણમાં તણાઇ જવાના ડર વચ્ચે માથું પાણી ઉપર કરી કાર ઝડપીને મદદની બૂમો પાડી રહ્યા હતા. ફાયર અને પોલીસને જાણ કર્યાં બાદ લોકોની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કારમાંથી બહાર કાઢ્યા બાદ પાણીના વધુ પડતાં વહેણમાં તણાય જવાનો ડર પણ લાગતો હતો. એટલે ફાયરની રાહ જોઇ અને ફાયર આવ્યા બાદ તમામને જવાનોએ બહાર કાઢ્યા છે.’
આ અંગે ડિંડોલીના ફાયર ઓફીસર જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘કોલ લગભગ 1:57 નો હતો. ચલથાણ નહેરમાં મુસાફરો ભરેલી કાર ખાબકી હોવાની માહિતી મળ્યા બાદ તાત્કાલીક ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાત્રિના અંધારામાં ટોર્ચની લાઇટથી કારમાંથી એક-એક કરીને ત્રણ મહીલા સહીત તમામને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર અંકલેશ્વરથી દમણ જઇ રહ્યા હોવાનું જણાવી રહ્યા હતા.’
ઇજાગ્રસ્તોના નામ
(1) અઝીમ ખાન (ઉં.વ. આ. 50)
(2) સુમૈયા ખાન (ઉં.વ. આ. 42)
(3) સ્વેથા ખાન (ઉં.વ. આ. 21)
(4) આલિયા ખાન (ઉં.વ. આ. 21)
From-Banaskantha update