તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું એમ.આઇ.-17 હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઇ હતી.
જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સી.ડી.એસ.) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહીત 14 અધિકારી સવાર હતા. જેમાંથી 11 ના મૃતદેહો મળ્યા છે.
જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલમાં લઇ જવાયા છે. તેમની સ્થિતિ ગંભીર છે. આ અંગે હજુ કોઇ સત્તાવાર જાણકારી બહાર આવી નથી. દુર્ઘટના બાદ સરકારે તપાસના આદેશ આપી દીધા છે.
દિલ્હીમાં બિપિન રાવતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઇ છે. દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને જાણકારી અપાઇ છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે.
દુર્ઘટનાની જે તસવીરો સામે આવી છે. એમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઇ રહ્યું છે અને એમાં આગ લાગી છે. જનરલ બિપિન રાવત તા. 31 ડીસેમ્બર 2016 થી તા. 31 ડીસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યા હતા. તેમને તા. 1 જાન્યુઆરી 2020 ના રોજ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે.
ન્યૂઝ એજન્સી એ.એન.આઇ. ના જણાવ્યા મુજબ, હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઇ રહ્યું હતું. હેલિકોપ્ટર બપોરે 12.20 વાગ્યે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર લેન્ડીંગ સ્પોટથી માત્ર 10 કિલોમીટર દૂર હતું.
એમાં 14 ટોચના અધિકારી સવાર હતા. ઘટનાસ્થળે તબીબોની ટીમ સાથે સેનાના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. 2 મૃતદેહ મળ્યા છે. જે 80 ટકા સળગી ગયા છે. એની ઓળખ કરાઇ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઇ રહ્યા છે.
હેલિકોપ્ટમાં સવાર લોકોના નામ
જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત, બ્રિગેડીયર એલ.એસ. લિદ્દર, લે.ક. હરજીંદરસિંહ, ગુરૂસેવકસિંહ નાયક, જીતેન્દ્રકુમાર નાયક, વિવેકકુમાર લાન્સ નાયક, બી.સાઇ. તેજા લાન્સ નાયક અને સતપાલ હવાલદાર
એક માસમાં દેશમાં આ બીજીવાર એમ.આઇ.-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ પહેલાં તા. 19 નવેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં જેમાં સવાર તમામ 12 લોકોના મોત નિપજ્યા હતા.
From – Banaskantha Update