કોરોના મહામારીના સમયમાં દુર્લભ વનસ્પતિઓના બીજ એકઠા કરી લોકો સુધી વિનામૂલ્યે પહોંચાડનાર બનાસકાંઠાના નિરલ પટેલ નામના યુવકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં તેણે ૩૫૦ જેટલી વનસ્પતિઓના દુર્લભ 1 કરોડથી પણ વધુ બીજ ભારતભરમાં વિનામૂલ્યે લોકો સુધી પહોંચાડ્યા છે.
કોરોના મહામારી વખતે લોકડાઉનના સમયે બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા ૨૬ વર્ષિય નીરલ પટેલે પર્યાવરણને બચાવવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. આમ તો નિરલ પટેલ દાંતીવાડાની મોડેલ સ્કૂલ ખાતે પ્રવાસી શિક્ષક તરીકે સેવા આપતા હતા, પરંતુ કોરોના મહામારીમાં શાળાઓ બંધ થતાં છુટા કરાયા છે. નીરલ પટેલને નાનપણથી જ કુદરતની પાસે રહેવાનો શોખ છે અને તે પ્રકૃતિ પ્રેમી છે, ત્યારે લોકડાઉનમાં ઘરે બેસી રહેવાને બદલે પર્યાવરણ અને ઝાડને બચાવવા માટે તેના સંરક્ષણ માટે તેને વિશેષ કાર્ય શરૂ કર્યું.
આ સમય દરમિયાન તેને ગુજરાતમાં લુપ્ત થઇ રહેલા 350થી પણ વધારે વનસ્પતિઓ, ઝાડ અને છોડના બીજ એકઠા કરી પ્રકૃતિપ્રેમી લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું. નિરલ પ્રકૃતિપ્રેમી હોવાથી તે સોશ્યલ મીડિયા પર પર્યાવરણ સંલગ્ન અનેક ગૃપો જોડાયેલો છે જેથી સૌ પ્રથમ તેણે ગુજરાતમાં લુપ્ત થઈ રહેલી વનસ્પતિઓ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ આ લુપ્ત થઈ રહેલી વનસ્પતિઓના બીજ શોધવા માટે જંગલોમાં ફરી ફરીને તેને બીજ એકઠા કર્યા. અને સોશિયલ મીડિયા મારફતે પ્રકૃતિપ્રેમી લોકો સુધી આ બીજને વિનામૂલ્યે પહોંચાડવાનું કામ શરૂ કર્યું.
અત્યારે તેણે ફેસબુક પર પાલનપુર બીજ બેન્ક નામનું પેજ પણ બનાવ્યું છે તેના માધ્યમથી તેને અત્યાર સુધી 1 કરોડથી પણ વધુ બીજ 10 હજાર જેટલા લોકો સુધી વિનામૂલ્યે પહોંચાડી પ્રકૃતિનું જતન કર્યું છે, તે પણ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં અનેક રાજ્યોમાં જ્યાંથી કોઈ મેસેજ આવે ત્યાં તરત જ તે કુરીયર મારફતે બીજ પહોંચાડી દે છે પ્રકૃતિને બચાવવા માટે શરૂ કરેલા આ ભગીરથ કાર્યની નોંધ હવે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પણ લીધી છે, અને તેમને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે.
નીરવ પટેલનું માનવું છે કે, વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાયેલા રહે. તે સ્કૂલના બાળકો આસપાસના યુવાનો તેમજ દોસ્તોને પણ બીજ આપી હંમેશા વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપતા રહે છે. ત્યારે આશા રાખીએ કે નિરજ પટેલના આ ઉત્તમ પ્રયાસોથી પર્યાવરણમાં થોડો પરંતુ એક સકારાત્મક ફેરફાર તો આવશે જ.
From – Banaskantha update