પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીએ જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ હવે ઘટી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવીએ.
[google_ad]
કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે અત્યારથી આયોજન કરી લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી તૈયારી રાખીએ. યાત્રાધામ અંબાજી અને અન્ય પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે છે અને તે પ્રમાણે વિકાસના કામો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, યુવાનોને કૌશલ્ય વર્ધન તાલીમ આપી સજ્જ કરવા માટે રાજ્યમાં 288 જેટલી આઇ. ટી. આઇ. સંસ્થાઓ કાર્યરત છે. રાજકોટમાં દિવ્યાંગો માટે સ્પેશ્યલ આઇ. ટી. આઇ. શરૂ કરવામાં આવી છે.
[google_ad]
મંત્રીએ જણાવ્યું કે, અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે યુવિન કાર્ડ અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતાં 9 લાખ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરતા તમામ કામદારોને સરળતાથી કાર્ડ મળી જાય તે માટે તમામ કોમન સર્વિસ સેન્ટર પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે બાંધકામ સહિત અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને યુવિન કાર્ડ આપવા ઝુંબેશ સ્વરૂપ કામગીરી કરીએ.
[google_ad]
યુવિન કાર્ડ કઢાવવા માટે રાજ્યમાં 21,000 જેટલાં કોમન સર્વિસ સેન્ટરો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આધાર કાર્ડ લઇ જઇને આ સેન્ટરો પરથી યુવિન કાર્ડ કઢાવી શકાય છે. શ્રમિકોને આપવામાં આવતા યુવિન કાર્ડને અન્ય યોજનાઓ સાથે જોડીને કોવિડ-19 જેવી મુશ્કેલીના સમયમાં તેમને મદદરૂપ બની શકાય તે માટે કાર્ડ આપવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મહિલા બાંધકામ શ્રમિકને પ્રસુતિ સહાય રૂપે રૂ. 27,500 જેટલી સહાય આપવામાં આવે છે. શ્રમિકોના કલ્યાણ માટે બનાવાયેલી આ યોજનાઓનો વધુમાં વધુ શ્રમિકો લાભ લે તેવા પ્રયાસો કરવા મંત્રીએ જણાવ્યું હતું.
[google_ad]
સમીક્ષા બેઠકમાં પાલનપુર આઇ.ટી.આઇ.ના આચાર્યએ મંત્રી સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, બનાસકાંઠા જીલ્લાના તમામ 14 તાલુકાઓમાં 14 આઇ.ટી.આઇ. કાર્યરત છે. જેમાં વિવિધ પ્રકારના કૌશલ્ય વર્ધન કોર્ષ ચલાવવામાં આવે છે. પાલનપુર, લાખણી અને સૂઇગામ આઇ.ટી.આઇ. ના નવા બિલ્ડીંગ બનાવવામાં આવ્યાં છે. જેનું નજીકના સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોવિડ 19ની વૈશ્વિક મહામારીના સમયમાં આઇ.ટી.આઇ.ના બિલ્ડીંગોનો કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગ કરીને લોકોની સારવાર માટે ઉપયોગ કરાયો હતો. આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને સમાજ કલ્યાણ વિભાગની શિષ્યવૃત્તિ ઉપરાંત દર મહિને રૂ. 400 સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે.
[google_ad]
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના અમલીકરણમાં 98 ટકા કામગીરી સાથે બનાસકાંઠા જીલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. પ્રોજેક્ટ સંકલ્પ હેઠળ સ્કિલ ડેવલોપમેન્ટની તાલીમ આપી જરૂરીયાત મુજબ વિવિધ ઔધોગિક એકમોમાં પ્લેસમેન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત મંત્રીએ પવિત્ર યાત્રાધામ વિકાસ, શ્રમ અને રોજગાર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સહિતના વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.
From – Banaskantha Update