આ વર્ષે જિલ્લામાં 3.45 લાખ હેકટર જમીનમાં વાવેતર થવાની શકયતા
પાટણ જિલ્લામાં ચોમાસાની વિધિવત શરુઆત થઇ ગઇ છે અને પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજા મન ભરીને વરસી પડતા જિલ્લામાં શ્રીકાર વર્ષા થવાથી ખેડુતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ત્યારે બીજી તરફ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોએ રાહતનો દમ લીધો છે. પાટણ જિલ્લામાં ચોમાસાની સીઝન શરુઆત થઇ ગઇ છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતાં વાવેતરમાં પણ વધારો થશે. છેલ્લા પાંચેક દિવસથી થઇ રહેલી અવિરત મેઘ મહેરથી ત્રણ તાલુકા પાણીની અછતની પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા છે. જ્યારે આ વર્ષે 3.45 લાખ હેકટર જમીનમાં વાવેતર થવાની શકયતા છે.
જિલ્લામાં સાર્વત્રીક વરસાદથી ખેડુતોના ખેતરોમાં પાણી ભરાઇ જતા આગામી થોડાક દિવસોમાં ખેડુતો દ્વારા ખેતરોમાં વરાપ થયા બાદ ખરીફ પાકોના વાવેતરની શુભ શરુઆત કરવામાં આવશે. જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી, રાધનપુર, પાટણ, હારીજ અને ચાણસ્મા તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ થવાથી આગામી દિવસોમાં ખેતરોમાં વરાપ થતા ખેડુતો દ્વારા પ્રથમ રાઉન્ડમાં ચોમાસુ બાજરી, બીટી કપાસ, ઘાસચારો, મગ, અડદ, તુવેર જેવા કઠોળ પાકોનું વાવેતર શરુ કરી દેશે અને જુલાઇ મહીનામાં બજારાઉન્ડમાં દિવેલા કપાસ, જુવાર સહીતના પાકોનું વાવેતર થશે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગયા વર્ષે 3.36 લાખ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર થયુ હતું. ચાલુ સાલે 3.45 લાખ હેકટરમાં વાવેતર થવાની શકયતા છે.
પાટણના ખેડૂત કલ્પેશ ભાઈ પટેલ અને દિલીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મેઘરાજાએ વિરામ લોધો છે ત્યારે હવે આગામી સમયમાં ખેતરમાંથી પાણી ઓસરતા ચોમાસું બાજરી, ઘસચારો ગવાર સહિત કઠોળનું વાવેતર શરૂ કરવામાં આવશે. રાયચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાવણી લાયક વરસાદ થયો છે હવે ખતેરમાં વરાપ થતા બાજરીનું વાવેતર કરવામાં આવશે.
From – Banaskantha Update