રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપમાં બુધવારે રાત્રે એક યુવકે શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પેટ્રોલ પંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે આ યુવકનો જીવ બચી ગયો હતો.
આથી મોટી દુર્ઘટના ટળી હતી. યુવકે આક્ષેપ કર્યો હતો કે, થોડા દિવસ પહેલાં પેટ્રોલ પંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દૃશ્યો પેટ્રોલ પંપના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા છે.
સી.સી.ટી.વી. કેમેરામાં જોવા મળે છે કે, રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપમાં બુધવારે રાત્રિના 10:51 વાગ્યે મયુર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જવલનશીલ પદાર્થ સાથે આવ્યો હતો.
પેટ્રોલ પંપની ઓફીસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જવલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપે તે પહેલાં પેટ્રોલ પંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવ્યા હતા.
તેમાંથી એક યુવક દોડીને આવતો હતો. ત્યારે તેનો પગ જવલનશીલ પ્રવાહી પડતાં લપસ્યો હતો અને ધડામ દઇને જમીન પર પટકાયો હતો.
જો કે, આ યુવક ઉભો થઇને મયુરને રોક્યો હતો. બાદમાં પેટ્રોલ પંપમાં કામ કરતાં સ્ટાફ અને અન્ય લોકોની સમય સુચકતા તેમજ સતર્કતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો.
જો કે, મયુરના આત્મવિલોપનને રોકતાં જ પેટ્રોલ પંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઇ હતી. બાદમાં પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે આત્મવિલોપન કરવા પહોંચેલા મયુર સોંદરવાએ જણાવ્યું હતું કે, આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રીયા માટે ગયો હતો.
તેને પોતાને પથરીની બીમારી હોવાથી થોડીવાર લાગી હતી. આથી પેટ્રોલ પંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં કોઇ કાર્યવાહી ન કરી ફરિયાદ કરવાને બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતાં આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો.
આ અંગે પેટ્રોલ પંપના સંચાલક કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘અમે તેને માર માર્યો નથી. તે અપશબ્દો બોલતાં ઝપાઝપી થઇ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી.
જો કે, તે સમયે હોસ્પિટલનું બહાનું બનાવી યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝપાઝપી થઇ તે દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.’
From-Banaskantha update