આ વર્ષે કોરાની મહામારીને પગલે ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષા લેવામાં આવી નથી. હવે નિશ્ચિત ફોર્મ્યુલાના આધારે વિદ્યાર્થીઓના રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદમાં પરિણામ ઓનલાઇન મૂકવામાં આવશે. જોકે, સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ વિદ્યાર્થી ધોરણ-12ના પરિણામથી ખુશ નથી તો તે લેખિતમાં પરીક્ષા આપી શકે છે.
બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે આ વર્ષે ધોરણ-10 અને ધોરણ-12ની માર્કશીટ દર વર્ષ કરતા થોડી અલગ હશે. આ વર્ષે માર્કશીટોમાં પાછળના ભાગમાં સરકારના હાલની સ્થિતિ અંગેના ઠરાવનો ઉલ્લેખ અંગ્રેજીમાં કરવામાં આવશે.
એટલે કે આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ તો અપાશે પરંતુ તે દર વર્ષ કરતા અલગ હશે. જેમાં પાછળના ભાગ ખાસ નોંધ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ-10માં આશરે 8.37 લાખ નિયમિત વિદ્યાર્થીઓ અને ધોરણ -12માં આશરે 6.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ્યુલા પ્રમાણે માર્ક્સની ગણતરી કરીને માર્કશીટ આપવામાં આવશે.
આ અંગેની નોંધ પણ માર્કશીટમાં કરવામાં આવશે. એટલે કે સરકારે પરીક્ષા રદ કરવા માટે જે જાહેરનામું બહાર પાડ્યું હતું તેની નોંધ માર્કશીટમાં કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે માર્કશીટમાં માસ પ્રમોશન અંગે કોઈ નોંધ નહીં મૂકવામાં આવે.
આમ તો બોર્ડની વેબસાઇટ પર ધોરણ-10ના રિઝલ્ટની જાહેરાત કરવામાં આવશે. આ વર્ષે પણ આ જ પ્રથા જાળવી રાખવામાં આવશે. આ વર્ષે ધોરણ-10નું પરિણામ તૈયાર કરવાની જવાબદારી જે તે સ્કૂલને સોંપવામાં આવી છે. જે બાદમાં તેને ઓનલાઇન મૂકવામાં આવશે. હાલ સ્કૂલોએ પરિણામ તૈયાર કરીને બોર્ડની સાઇટ પર મૂકી દીધું છે.
બોર્ડ તરફથી જરૂરી વિધિ કરીને આ જ પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે સ્કૂલોએ તૈયાર કરેલું પરિણામ જ જાહેર થવાનું હોવાથી અનેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને મૌખિત પરિણામ અંગે સૂચના આપી દીધી છે. અનેક સ્કૂલોએ આ પરિણામના આધારે વિદ્યાર્થીઓને ધોરણ-11માં પ્રવેશ પણ આપી દીધો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-12નું પરિણામ તૈયાર કરવાની ફોર્મ્યુલા જાહેર કરી છે. જે પ્રમાણે ધોરણ-10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ અને વર્ષ દરમિયાન ધોરણ-12ની લેવાયેલી એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.
From – Banaskantha update