રાજ્ય સરકારે પાલનપુરવાસીઓની સુખાકારી માટે સને-2014માં રૂ.136 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના મંજુર કરી હતી. જોકે, વહીવટી અણઆવડતને પગલે કરોડો રૂપિયાના આંધણ બાદ પણ આજે 7 વર્ષના વ્હાણા વીતવા છતાં ભૂગર્ભ ગટર યોજનાનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે.
પાલનપુર શહેરમાં ભુર્ગભ ગટર યોજના રૂા. 136 કરોડના ખર્ચે સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ હતી. માર્ચ 2014માં જીયુડીસી ગાંધીનગર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ હતી પરંતુ આજે 7 વર્ષ થવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. અગાઉ ભૂગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે પાલનપુર નગરપાલિકા દ્વારા પૂર્વમાં સદરપુર ખાતે ઓક્સીડેશન પોન્ડ બનાવાયો હતો.
બાદમાં કોઈ અગમ્ય કારણોસર ભૂગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આકેસણ ગામમાં જગ્યાની માંગણી કરાઈ છે. જે જગ્યાનો કબજો હજી સુધી મળ્યો નથી. જેને કારણે સમગ્ર યોજનાનું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું હોવાનું યુવા અગ્રણી રવિ સોનીએ જણાવ્યું હતું.
આમ, પાલનપુરની ખોરંભે ચડેલી ભૂગર્ભ ગટર યોજના પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની વહીવટી અણઆવડતને છતી કરે છે. પાલનપુરની પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે મંજુર થયેલી ભૂગર્ભ ગટર યોજના હાલ તો પાલનપુરીઓ માટે પીડાદાયક અને શિરદર્દરૂપ સમસ્યા પુરવાર થઈ રહી છે.
પાલનપુરમાં ભૂગર્ભ ગટર યોજના સાત વર્ષે પણ પુરી થઈ નથી. વધતી જતી મોંઘવારી વચ્ચે રૂ.136 કરોડના બજેટમાં વધુ રૂ.28 કરોડ નાખવા છતાં યોજના ખોરંભે પડી છે. શહેરના નવીન રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકો પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. અધિકારીઓ અને પદાધિકારીઓના ગેર વહીવટનો ભોગ પાલનપુરની પ્રજા બની રહી હોવાનું જાણીતા ક્રિકેટર રણજી પ્લેયર દિલીપસિંહ હડિયોલએ જણાવ્યું હતું.
પાલનપુરમાં ભૂગર્ભ ગટરના નામે કેવી ધુપ્પલબાજી ચાલે છે તે વોર્ડ નં.4માં જોવા મળ્યું હતું. જ્યાં મફતપુરા વિસ્તારમાં તો 3 વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરનું કામ કાગળ પર પૂર્ણ થયેલું બતાવ્યું હતું. છતાં સ્થાનિક રહીશોની ગટરો ઉભરાતા નગરસેવકે તપાસ કરાવતા ભૂગર્ભ ગટરના ભૂંગળા તો નાખવામાં આવ્યા હતા
પરંતુ કનેક્શન જોડવાનું રહી ગયું હતું. ત્યારે નગરસેવકે દરમિયાનગીરી કરતા હાલમાં ભૂગર્ભ કનેક્શન જોડવાની કામગીરી શરૂ કરાઇ છે.
From – Banaskantha update