યાત્રાધામ અંબાજીમાં અંબાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ભોજનાલયને પણ ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા ખાનગી એજન્સીને સુપ્રત કરાઈ રહી હતી પરંતુ તેમાં ટ્રસ્ટને ખૂબ જ મોટું આર્થિક નુકસાન પહોંચતું હતું. ઊંડી તપાસ કરતા છેલ્લા પાંચ વર્ષોમાં જ ટ્રસ્ટને 20 કરોડ જેટલું નુકસાન પહોંચ્યું હોવાનું બહાર આવ્યું હતું.
જય જલીયાણા ફાઉન્ડેશન દ્વારા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેકટરને યાત્રિકોને નિઃશુલ્ક ભોજન પીરસવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે સંદર્ભે ટ્રસ્ટ દ્વારા પ્રાયોગિક ધોરણે 3 મહિના માટે અંબિકા ભોજનાલયની કામગીરી કરવાનો હુકમ મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલે ત્યારથી કરવાનો હુકમ કરાયો છે.
માં અંબાના દર્શનાર્થે દેશ અને વિદેશમાંથી સેંકડો માઇભક્તો આવે છે. એટલું જ નહિ ભાદરવી મેળો, પોષી પૂનમ અને દીપાવલી જેવા તહેવારો સહીત પૂનમો દરમિયાન પણ શ્રદ્ધાળુઓ ઉદાર હાથે દાન કરી માતાજીનો ભંડાર છલકાવી દે છે. મેળા દરમિયાન તો અનેક સેવાભાવી સંસ્થાઓ સહિત દાતાઓ દ્વારા અંબાજી સહિતના માર્ગો ઉપર ચા, નાસ્તા, વિરામ સહિત તબીબી સેવા પણ ઉપલ્ભધ કરાવે છે.
ડીસા જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા પ્રતિ વર્ષે ભાદરવી મેળા દરમિયાન આવતા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો અને જમવા સહિત વિરામની વ્યવસ્થા પણ અંબાજી માર્ગ ઉપર કરે છે. વર્ષ-2019માં પણ અંબાજી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવા સાથે નવરાત્રી દરમિયાન પણ માતાજીના લાઇવ દર્શનમાં પણ સહભાગી બન્યું હતું. જ્યારે હવે અંબાજી આવતા માઈ ભક્તો માટે સદાવ્રત ખુલ્લું મુકવાના સમાચારને લઇ વિશ્વભરમાં વસતા માઇભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી છે.