ગુજરાત રાજ્ય સરકાર પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂબેન યોજના અંતર્ગત દિયોદરમાં રૂ.11.90 કરોડના ખર્ચથી શુદ્ધ નર્મદાનું મિનરલ ફિલ્ટર પાણી લોકોને પહોંચાડવા માટેની કામગીરી પૂર્ણ થઇ. ત્યારે ગુરુવારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ આરતીનગર ખાતે ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. આગામી ટૂંક સમયમાં ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
દિયોદર શહેરમાં સામલા-વડાણા નર્મદા મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇનથી દિયોદર આરતીનગર ખાતે આવેલ પાણીના સંપમાં પાણી સંગ્રહ કરી પાણી ફિલ્ટર કરી તે પાણી દિયોદર શહેરના અન્ય 3 સંપ ટેલિફોન એક્સચેન્જ, પાંજરાપોળ, શિહોરી ચાર રસ્તા વગેરે જગ્યાએ આવેલ પાણીના સંપમાં પાણી ઠાલવી પાઇપલાઇન મારફતે દિયોદર શહેરને ફિલ્ટર કરેલું પાણી લોકો સુધી પહોંચાડાશે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્માણ પામેલ ફિલ્ટર પાણીનો પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થયા બાદ દિયોદર શહેરના 34 સોસાયટીઓ લક્ષ્મીપુરા, રામદેવ પીર વિસ્તાર, સરકારી કચેરીઓ, પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ સહિત અંદાજે 15 હજારથી વધુ લોકોને પાણી મળશે.
દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા જણાવ્યું કે ‘ગ્રામ પંચાયત દ્વારા વર્તમાન સમયે 4 પાણીના બોરવેલ કાર્યરત છે. ત્યારે ફિલ્ટર પાણીનો પ્લાન્ટ શરૂ થયા બાદ વર્તમાન સમયે કાર્યરત ચાર પાણીના બોરવેલ ગામમાં પાણીની અછત સર્જાશે તો જ શરૂ કરાશે. નર્મદાના મિનરલ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થયા બાદ દિયોદર શહેરની તમામ સોસાયટી વિસ્તારને પુરા પ્રેશરથી પાણી અપાશે. જેથી મોટર વગર પાણી પહોંચી જશે તેવું આયોજન થઈ રહ્યું છે.’
પાણી પુરવઠા વિભાગ દ્વારા દિયોદર ખાતે અલગ-અલગ ક્ષમતા ધરાવતા 4 પાણીના સંપ આરતીનગર, પાંજરાપોળ વિસ્તાર, ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર શિહોરી ચાર રસ્તા વિસ્તારમાં નિર્માણ થયા છે. ત્યારે આગામી સમયમાં 45 લાખ લીટર ક્ષમતા ધરાવતા ચારેય સંપ દ્વારા ફિલ્ટર મિનરલ પાણી પ્રજાજનોને અપાશે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્માણ પામેલ ફિલ્ટર મિનરલ પાણીનો કાર્યરત થયા બાદ દિયોદર ગ્રામ પંચાયત કચેરીની પાસે જેની કામગીરી સારસંભાળ, મેન્ટેનસ વગેરે દિયોદર ગ્રામ પંચાયત કચેરી સંચાલન કરી દિયોદર શહેરની પ્રજાને ફિલ્ટર પાણી પાઇપલાઇન દ્વારા પ્રજાના ઘર સુધી પહોંચાડશે.
From – Banaskantha Update