પાલનપુર તાલુકાના મડાણા નજીક ત્રણ શખ્સો બુધવારે પોલીસ કર્મીના મુક બધિકર ભાઇ ઉપર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી રહ્યા હોવાનો વીડિયો કોલ જોઇને દાંતીવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતો તેનો ભાઇ અન્ય સહ કર્મીઓ સાથે ખાનગી વાહનમાં ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં હુમલાખોરો વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓને ઇજા થતાં પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..
દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૂળ દાંતીવાડા તાલુકાના કોટડા ના પોલીસકર્મી પ્રવીણભાઇ રઘનાથભાઇ ચૌધરીના મુક બધિર ભાઇ વિનોદભાઇ સાથે ગઢ પોલીસની હદમાં મડાણા ના મહેશભાઇ અમરતભાઇ રબારી, કરમશીભાઇ મફાભાઇ રબારી અને નિખીલભાઇ બાબુભાઇ રબારી સાથે અગમ્ય કારણોસર બબાલ કરી હતી. જ્યાં ચાલુ બબાલે વિનોદભાઇએ વીડિયો કોલ કરતા પ્રવિણભાઇ ચૌધરી, સહ કર્મીઓ અશોકભાઇ ધનાભાઇ અને પરબતસીગ ફોજાજી સાથે ખાનગી વાહનમાં ત્યાં દોડી ગયા હતા.
જ્યાં આ ત્રણેય શખ્સો મુકબધિર વિનોદભાઇને ખેંચીને લઇ જતાં હતા. જે બચવા માટે દોડીને આવતાં પ્રવિણભાઇએ આ શખ્સોને અમે દાંતીવાડા પોલીસ સ્ટાફના માણસો છીએ. તમો કેમ મારા ભાઇને મારો છો તેમ કહેતા ત્રણેય જણાં ઉશ્કેરાઇ ગયા હતા. અને પોતાની પાસે રહેલી તલવાર, ધોકાઓ વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. ઘટનાને પગલે ગામના ગલબાભાઇ હરિભાઇ ચૌધરી, રમેશભાઇ જેસુંગભાઇ ચૌધરી દોડી આવતાં ત્રણેય હુમલાખોર જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતાનું બાઇક નં. જીજે. 08. બીએ. 2739 સ્થળ ઉપર મુકીને નાસી ગયા હતા.
દરમિયાન ત્રણેય ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રવિણભાઇએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મહેશભાઇ અમરતભાઇ રબારી, કરમશીભાઇ મફાભાઇ રબારી અને નિખીલભાઇ બાબુભાઇ રબારી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મડાણા ગામ નજીક થયેલી મારામારીની ઘટનામાં હુમલો કયા કારણોસર કરાયો તે ફરિયાદમાં જણાવવામાં આવ્યું નથી. જેની તપાસ બાદ કારણ જાણી શકાશે. આ બનાવમાં હજુ સુધી કોઇ ક્રોસ ફરિયાદ નોંધાઇ નથી. ફરિયાદમાં જણાવેલા શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.એલ. જે. વાળા પી.એસ.આઇ.
હુમલાખોરોથી બચવા ત્રણેય પોલીસ કર્મીઓ પોતાના ખાનગી વાહનોમાં બેસવા જતા હતા. ત્યારે આ શખ્સોએ વેગનઆર કાર નં જીજે-19-એએ-9057 અને સ્વીફ્ટ ડિઝાયર કાર જીજે-07-ડીએ-3772 કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત વિનોદભાઇના એકટિવા નં. જીજે. 08. સીઇ.1765ના આગળના ભાગે તલવારના મારી નુકશાન પહોચાડ્યું હતુ.
આ ઘટનામાં સામે પક્ષે 50 વર્ષિય પૂંજાભાઈ રબારીને ઇજાઓ થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. જેમને ચંડીસર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.
From – Banaskantha update